માટલામાં કેવી રીતે બને ગુજરાતની પારંપરિક વાનગી ઉંબાડિયુ
માસ્ટર શેફે વીડિયો બનાવીને કર્યો શેર
મુંબઇ, તા.૯: ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ અલગ અલગ મોસમ પ્રમાણે બનતી વાનગીઓ ખાસ હોય છે. ઠંડીની મોસમ આવે એટલે કચરિયા, ઉંધિયુ, ઉંબાડિયું વગેરે બનતા હોય છે. પરંતુ ચૂલા પર બનતી ઉંબાડિયુ ડિશ કંઈક ખાસ હોય છે. શેફ સારાંશ ગોઈલાએ આ રેસિપીનો વીડિયો શેર કર્યો છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. આ ડિશ બનાવવા માટે તેઓ બહુ જ આતુર દેખાયા હતા.
તેની ખાસિયત એ છે કે તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલુ માટલુ રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે. જોકે, તેમાં થોડો બદલાવ કરતા હવે લોકો તેને જમીનની ઉપર પર પકાવે છે. માટલામાં તમામ સામગ્રી ભરીને તેને જમીન પર ઉલટુ મૂકી દેવાય છે. તેના ઉપર સૂકા લાકડા, પાન વગેરે સળગાવાય છે. ઠંડીમાં ગુજરાતના અનેક પરિવારો તેનો આસ્વાદ માણે છે.
ઉંબાડિયું બનાવવા માટે જરૂરી સામગ્રી
પાપડી (ત્રણદાણા વાળી), લીલી મરચી, આદુ-મરચાં, સુરતી કંદ ૫૦૦ ગ્રામ, અજમો ૩૦૦ ગ્રામ, આંબા હળદરની બનેલી ચટણી ૫૦૦ ગ્રામ, મિડિયમ સાઈઝના બટાકા ૫૦૦ ગ્રામ, શક્કરિયા એક કિલો, કોથમરી, ફુદીનો, લીલી હળદર, મીઠું સ્વાદાનુસાર, સૂરણ ૫૦૦ ગ્રામ,
ઉંબાડિયું બનાવવાની રીત
તો જાણીએ એને કઈ રીતે બનાવવાનું છે. સૌથી પહેલા તમારે નાના બટેટા આવે છે એ માપના બધા શાકના કટકા કરી લેવાના છે. અને તેમાં કાપ મુકીને ચટણી ભરી દેવાની છે. બીજી તરફ એક ભીના ટુવાલમાં તમારે પાપડીને થોડીવાર માટે પોટલી બાંધીને રાખવાની છે. આમ કરવાનું કારણ એને થોડો ભેજ મળે એ હોય છે. ત્યારબાદ પાપડીમાં પણ ચટણી ભેળવવાની રહેશે. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું (સ્વાદ અનુસાર) ભભરાવી બરાબર હલાવી લો.
આ ખાસ ધ્યાનમાં રાખો
* માટલાની બહારની બાજુએ માટીનું લીપણ કરી દો, જેથી તે સરળતાથી તપશે
* માટલામાં અંદર તળીયે ક્લાર નામની વનસ્પતિ ભરપૂર માત્રામાં પાથરી દો
* માટલાની અંદરની દિવાલે ક્લાર પાથરતા જઈ વચ્ચે બધાં શાક ભરી દેવાં. ભેજને કારણે શાક બફાશે
* તેલ, મીઠું તથા અજમાનું મિશ્રણ શાકનો ભેજ છોડાવવામાં પણ મદદરૂપ થાય છે.
* માટલામાં ઊપરની બાજુથી થોડી વધારે ક્લાર પાથરીને માટલું તૈયાર કરેલા ખાડામાં ઊંધું મુકી દો.
* શરૂઆતમાં અગ્નિ થોડી વધારે રાખવી, બાદમાં વધારવી, ૪૦ મિનિટ સુધી ઉંબાડીયું પકાવવું.