આરોપીએ સ્પેલિંગની ભૂલ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો
ગુનેગાર એકાદ ભૂલ તો કરતો જ હોય છે : ઉત્તરપ્રદેશના હરદોઈમાં આરોપીએ આઠ વર્ષના બાળકનું અપહરણ કરી ઘાતકી હત્યા કર્યા બાદ ખંડણી માગી હતી
હરદોઈ, તા. ૯ : એક નાનકડી ભૂલ કેવી રીતે પોલીસને ગુનેગાર સુધી પહોંચાડી દે છે તેનું એક સારું ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશની પોલીસે આરોપી દ્વારા કરવામાં આવેલી સ્પેલિંગની ભૂલના લીધે હરદોઇમાં હત્યાનો એક ભેદ ઉકેલાઇ ગયો. વાત એમ છે કે આરોપી રામ પ્રતાપ સિંહે ૨૬ ઑક્ટોબરના રોજ ૮ વર્ષના બાળકનું તેની દાદીના ઘરેથી અપહરણ કર્યું અને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ એ જ દિવસે તેણે ચોરીના ફોનથી છોકરાના પિતાને એક મેસેજ મોકલ્યો અને છોકરાને છોડાવા માટે ૨ લાખ રૂપિયા માંગ્યા.
છોકરાના પિતાને મોકલેલા મેસેજમાં સિંહે લખ્યું કે બે લાખ રૂપિયા સીતા-પુર લઇને પહોંચે. પોલીસને કહેશો નહીં જો કહ્યું તો હત્યા કરી દઇશ.
હરદોઇમાં પોલીસ ઓફિસર અનુરાગ વત્સે કહ્યું કે જ્યારે છોકરાના પરિવારે છાનામાના કેસ નોંધાવ્યો તો અમે તેની ભાળ મેળવવા માટે એક ટીમ બનાવી. અમે એ મોબાઇલ પર કોલ કર્યો, પરંતુ મોબાઇલ ફોન બંધ કરી દેવાયો હતો. સાઇબર સર્વિલન્સ સેલની મદદથી એ વ્યક્તિના નામની ભાળ મેળવાઇ જેનું નામ સિમ પર હતું અને તેને કસ્ટડીમાં લીધો. પરંતુ તેણે કહ્યું કે મારો ફોન ચોરી થઇ ગયો હતો.
પોલીસે ૧૦ શંકાસ્પદ તો પકડી લીધા પરંતુ હવે તેમાંથી તેને અસલી હત્યારો શોધવાનો હતો. પોલીસે તમામ શંકાસ્પદોને એક વાકય લખવા માટે કહ્યું કે હું પોલીસમાં દાખલ થવા માંગું છું. હું હરદોઇથી સીતાપુર દોડીને જઇ શકું છું.
બસ અહીં જ આરોપી ગૂંચવાઇ ગયો. આરોપી રામ પ્રતાપ સિંહે 'Police' ને ‘Pulish` લખ્યું અને ‘Sitapur` અને ‘Seeta-pur` લખ્યું, જેમકે તેણે ખંડણી માંગવા માટે મોકલેલા મેસેજમાં લખ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની શનિવારના રોજ ધરપકડ કરી લીધી અને બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.