મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

રોજગારી નહીં મળે તો જમ્મુ-કાશ્મીરના યુવા બંદૂક ઉઠાવશે

મહબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન : આજે તેમનો સમય છે, કાલે અમારો આવશે, તેમનો પણ ટ્રમ્પ જેવો હાલ થશે : મહબૂબા મુફ્તીની પ્રતિક્રિયા

શ્રીનગર,તા. : જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ સોમવારે ઉશ્કેરીજનક નિવેદન આપતાં રાજ્યમાં બંદૂક ઉઠાવનારા લોકોનું સમર્થન કર્યું. મહબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યારે નોકરી નહીં હોય તો અહીંના યુવા બંદૂક ઉઠાવશે. રાજ્યમાં સરકતી રાજકીય જમીન પર પોતાનો ગુસ્સો દર્શાવતા પીડીપી અધ્યક્ષે કહ્યું કે, ૩૭૦ (આર્ટિકલ ૩૭૦) હટાવ્યા બાદ બીજેપીની ઈચ્છા જમ્મુ-કાશ્મીરની જમીન અને નોકરી છીનવી લેવાની છે. ૩૭૦ ડોગરા સંસ્કૃતિને બચાવવા માટે હતો. ભલે દેશનો ધ્વજ હોય કે જમ્મુ-કાશ્મીરનો ધ્વજ તે આપણેને બંધારણે આપ્યો હતો. બીજેપીએ અમારી પાસેથી તે ધ્વજ છીનવી લીધો. ઉશ્કેરીજનક નિવેદન આપતાં રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કહ્યું કે, આજે તેમનો (બીજેપી) સમય છે, કાલે અમારો આવશે. તેમનો પણ ટ્રમ્પ જેવો હાલ થશે. બોર્ડર્સના રસ્તા ખુલવા જોઈએ. જમ્મુ-કાશ્મીર બંને દેશોની વચ્ચે શાંતિનો પુલ બને. અમારો ધ્વજ અમને પરત આપી દો. અમે ચૂંટણી એક થઈને લડી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરના ટુકડા કરી દીધા છે. તાકાતોને દૂર કરવા માટે અમે હાથ મિલાવ્યા છે. આર્ટિકલ ૩૭૦ને લઈને મહબૂબા મુફ્તીએ કહ્યું કે મુસ્લિમ કે હિન્દુ સાથે જોડાયેલો વિષય નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ છે. લોકોને પોતાના ભવિષ્યની ચિંતા છે. કેન્દ્ર સરકારે બાબા સાહેબના બંધારણની સાથે ચેડાં કર્યા છે. બીજેપી પર નિશાન સાધતાં મહબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરી પંડિતોનું શું થયું? બીજેપીએ તેમને વાયદો આપ્યો હતો, પરંતુ કંઈ નથી થયું. મહબૂબા મુફ્તી હાલમાં જમ્મુના પ્રવાસ પર છે, અહીં તેઓએ પાર્ટી નેતાઓ ઉપરાંત સમાજના અન્ય તબક્કાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. બેઠક બાદ મહબૂબાએ જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ કરી. પાકિસ્તાનને લઈ મહબૂબા મુફ્તીનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો. તેઓએ કહ્યું કે જ્યારે અમે ચીન સાથે વાત કરી શકીએ છીએ તો પાકિસ્તાન સાથે કેમ નહીં. નોંધનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ તો થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ચીનની મદદથી કાશ્મીરમાં ફરીથી આર્ટિકલ ૩૭૦ લાગુ કરાવવામાં આવશે.

(7:44 pm IST)