મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

ખાધાખોરાકી પતિ માટે સજા જેવી બનવી ન જોઇએઃ સુપ્રિમ કોર્ટ

વળતર એટલુ ન હોવુ જોઇએ કે પતિ ગરીબ થઇ જાય

નવી દિલ્હી, તા.૯: છૂટાછેડા બાદ ભરણપોષણ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અન્ય કોર્ટને કહ્યું છે કે છૂટાછેડા પછી ભરણપોષણનો નિર્ણય લેતી વખતે દરેક કોર્ટેએ જોવું જોઈએ કે વળતરની રકમ ન્યાયી હોય, રકમ એટલી ન હોવી જોઈએ કે પતિ છૂટાછેડા પછી કંગાળ બની જાય. લગ્ન નિષ્ફળ જવાએ પતિ માટે સજા ન હોવી જોઈએ. જજ ઇન્દુ મલ્હોત્રા અને સુભાષ રેડ્ડીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો કે ભરણપોષણ વધારે ન હોવું જોઈએ, સાથે જે કોર્ટે કહ્યું કે ભરણપોષણ માટે પત્ની પોતાના ખર્ચ અને જરૂરીયાતોને વધારીને રજૂ કરે છે.

સુપ્રીમ કોર્ટે આ તકે એમ પણ જણાવ્યું હતું કે પતિ પણ તેની આવક ઓછી કહે છે, જેથી તેણે ઓછામાં ઓછું વળતર આપવું પડે. આ માટે, પતિ અને પત્ની બંને પાસેથી એફિડેવિટ લેવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તેમની આવક, સંપત્તિ અને જવાબદારીઓની વિગતો નોંધવી જોઈએ. તેનાથી કોર્ટને ભરણપોષણ અંગે નક્કી કરવાનું સરળ બનશે અને વાસ્તવિક રકમ નક્કી કરી શકાશે. આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે પત્ની નોકરી કરતી હોય તે વાતને લઈ તેને ભરણપોષણ આપવાની મનાઈ કરી ન શકાય. આવા કેસમાં જોવાનું એ રહેશે કે પત્નીની આવક તેની જરૂરિયાત પુરી કરી શકે તેમ છે કે નહીં. જો આવક પૂરતી ન હોય તો નોકરી કરતી પત્નીને પણ ભરણપોષણ આપવું જરૂરી છે.

(12:53 pm IST)