મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

શૌચાલયના પાણીથી બનાવતો હતો પાણીપુરી : લોકોએ ધોકાવી નાખ્યો : લારી ઉંધી વાળી નાખી

કોલ્હાપુરની ઘટનાઃ વિડિયો વાયરલ થતો લોકોનો ગુસ્સો ભડકયો

કોલ્હાપુર,તા. ૯: પાણીપુરીનું નામ સાંભળતા જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પણ, શું તમે કયારેય એવું જાણવાનો પ્રયાસ કર્યો કે આ પાણીપુરી માટેનું સ્વાદિષ્ટ પાણી બનાવવા માટે કયા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણકે, મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક પાણીપુરીવાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે જેમાં તે શૌચાલયના પાણીનો ઉપયોગ કરીને પાણીપુરીનું મસાલેદાર પાણી તૈયાર કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ ત્યાંના આસપાસના લોકો ગુસ્સે ભરાયા અને તે પાણીપુરીવાળાને ફટકાર્યો હતો. સાથે-સાથે તેની પાણીપુરીની લારી પણ ઊંધીવાળી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આ પાણીપુરીવાળો ખૂબ પ્રખ્યાત હતો અને દરરોજ ઘણાં લોકો અહીં પાણીપુરી ખાવા માટે આવતા-જતા હતા. પણ, જે વિડીયો સામે આવ્યો તેમાં જોવા મળ્યું કે આરોપી શખસ શૌચાલયની બહાર જે નળ હોય તેમાંથી પાણી ભરતો અને તેમાંથી પાણીપુરી માટેનું મસાલેદાર પાણી તૈયાર કરતો હતો. આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા.

આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ કેટલાંક લોકોએ આ પાણીપુરીવાળાને ફટકાર્યો અને તેની પાણીપુરીની લારીને ઊંધીવાળી દીધી. પરંતુ, તે પાણીપુરીવાળાએ પોતાના બચાવમાં એવું કહ્યું તે માત્ર હાથ ધોવા માટે શૌચાલયના આ પાણીનો ઉપયોગ કરતો હતો. પણ, વિડીયો વાયરલ થતા લોકોએ મારી પાણીપુરીની લારીને ઊંધી પાડી દીધી.

(11:31 am IST)