બુલબુલ તોફાનથી બંગાળ અને ઓરિસ્સામાં વરસાદ
પ્રચંડ તોફાનથી મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી : વાવાઝોડાની અસરને પહોંચી વળવા જુદા જુદા પગલાંઓ
ભુવનેશ્વર, તા. ૯ : શક્તિશાળી ચક્રવાત તોફાન બુલબુલે ઓરિસ્સાના દરિયાકાંઠે સ્થિત ભદ્રક જિલ્લામાં ભારે નુકસાન પહોંચાડી દીધું છે. ઓરિસ્સા અને બંગાળમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવનની સાથે સાથે ભાર વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. માર્ગ સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. ભારે વરસાદના લીધે વૃક્ષો ધરાશાયી થઈ જતા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
બુલબુલ તોફાનને ધ્યાનમાં લઈને તમામ ઈમરજન્સી સંબંધિત એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. શરૂઆતમાં ખૂબ્ ઝડપથી આવનાર આ તોફાનની ગતિ હવે ધીમી પડનાર છે પરંતુ તેનાથી અસર દેખાઈ રહી છે. ઓરિસ્સામાં લોકોને બુલબુલથી બચાવી લેવા માટે ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડેકશન ફોર્સની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ભદ્રક જિલ્લામાં કાલીભાંજા ડીહા દ્વિપની પાસે નૌકા ડુબી જવાથી આઠ માછીમારો ફસાઈ ગયા છે. રેપિડ એકશન ફોર્સ અને સ્થાનિક માછીમારોની મદદથી આ આઠ માછીમારોને બચાવી લેવાયા છે. બુલબુલના કારણે મધ્ય ઓરિસ્સાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જગતસિંહપુર, કેન્દ્રપાડા અને ભદ્રક જિલ્લામાં વિવિધ સ્થળો પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્ય સચિવ આશિત ત્રિપાઠીએ કહ્યું છે કે રાજ્ય સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. આને પહોંચી વળવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર અને ભદ્રક જિલ્લામાં ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં હજારો લોકોને ખસેડવામાં આવ્યા છે. ત્રણ હજાર લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રપાડામાં ૧૦૭૦ લોકોને ખસેડાયા છે.