મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અંકુશ રેખા પાર કરવા માટે ૧૬૦ ત્રાસવાદીઓ તૈયાર

દહેશતને ધ્યાનમાં લઇને વિવિધ પગલા લેવાયા : પાકિસ્તાન વતી યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર વચ્ચે આતંકવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર થયા

જમ્મુ,તા. ૯ : જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખાની નજક પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતીમાં લાભ ઉઠાવવા માટે ત્રાસવાદીઓ પણ તૈયાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અંકુશ રેખા પાર કરીને ૧૬૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. હિંસા અને હુમલાની સ્થિતીને ધ્યાનમાં લઇને હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એલઓસી નજીકના વિસ્તારોમાં સેનાના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નગોટા સ્થિત વ્હાઇટ નાઇટ કોરના જર્નલ કમાન્ડિંગ ઓફિસરનો હોદ્દો સંભાળી રહેલા લેફ્ટી જનરલ પરમજીતસિંહે કહ્યું છે કે, સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધિ એજ વખતે રોકાશે જ્યારે પાકિસ્તાન પોતાની નીતિને વધુ સ્પષ્ટ કરશે. પાકિસ્તાનના કબજાવાળા પોકમાં ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.

              આ સર્જિકલ સ્ટ્રાઇકની યોજનામાં સામેલ રહેલા અધિકારીએ કહ્યું છે કે, ભારતીય સેના પોતાની તૈયારી યથાવતરીતે જારી રાખી રહી છે. ઘુસણખોરોને ઠાર કરવામાં આવી રહ્યા છે પરંતુ પાકિસ્તાનને પણ યોગ્ય પગલા લેવા પડશે. જમ્મુ કાશ્મીરમાં તમામ ત્રણેય ક્ષેત્રોમાં સેવા આપી ચુકેલા લેફ્ટી જનરલ પરમજીતસિંહે કહ્યું હતું કે, પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાંથી ૧૪૦થી ૧૬૦ ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસાડવાની યોજના ચાલી રહી છે. એલઓસી પર સૈનિકો માટે યુદ્ધવિરામની કોઇ સ્થિતિ નથી. સરહદ પારથી ગોળીબાર કરીને ભારતીય ચોકીઓને નુકસાન પહોંચાડવાની ગતિવિધિ જારી રહી છે પરંતુ ભારતીય સેના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કુંપવારામાં ગઇકાલે એક ત્રાસવાદીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. ભારતે પહેલા સર્જિકલ હુમલા કર્યા હોવા છતાં પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા યથાવત રીતે ચાલી રહ્યા છે. સેનાના ટોપ અધિકારીઓએ કહ્યુ છે કે સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધી એ વખતે જ રોકાશે જ્યારે પાકિસ્તાન તેની આક્રમક નીતિને અમલી કરશે અને ત્રાસવાદીઓ સામે પગલા લેશે. 

                  ત્રાસવાદીઓ સામે હાલમાં એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. કારણ કે ત્રાસવાદીઓ હવે કોઇ પણ કિંમતે તેમની હાજરી પુરવા કરવા માટે હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓ બહાર નિકળી રહ્યા છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. જો કે સ્થાનિક કેટલાક કટ્ટરપંથીઓ અને સ્થાનિક લોકોના કારણે ત્રાસવાદીઓ તેમની વચ્ચે છુપાઇ જઇને કેટલાક હુમલા કરવામાં સફળ સાબિત થઇ રહ્યા છે.પથ્થરબાજો તેમને બચાવી રહ્યા છે. જો કે તેમની સામે પણ કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટના કારણે સેંકડો ત્રાસવાદીઓનો સફાયો થઇ ચુક્યો છે. ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. તેમના મુખ્ય લીડરો ફુંકાઇ ચુક્યા છે. હજુ તેમની સામે કઠોર કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે.

ઘુસણખોરીની સાથે સાથે

*       અંકુશરેખા નજીકથી ૧૬૦થી વધુ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટેની તૈયારીમાં

*   પોક તરફથી ત્રાસવાદીઓને સંપૂર્ણ ટેકો અપાઈ રહ્યો છે

*   ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક  અને ત્યારબાદ વારંવારની કાર્યવાહી છતાં ત્રાસવાદી માળખા અકબંધ રહ્યા છે. કારણ કે, પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી

*   ભારતીય સેનાના કહેવા મુજબ પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લીરીતે ફરી રહ્યા છે તેમને સરકારનો પણ સાથ મળે છે

*   પાકિસ્તાન સરકાર દ્વારા હાફીઝ સઇદ સામે પણ કોઇ પગલા લેવામાં આવ્યા નથી

*   પાકિસ્તાનમાં નવી સરકાર આવ્યા બાદ પણ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાનની સેનાએ ગોળીબાર જારી રાખ્યો છે

(8:01 pm IST)