દર ૫ માંથી ૧ વ્યકિત મોલમાં ટાઈમ પાસ માટે જાય છેઃ સર્વે
અડધો અડધ લોકો ખરીદી કરતા જ નથીઃ રસપ્રદ તારણ
મુંબઈ,તા.૮: ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી- બોમ્બેના એક અભ્યાસ મુજબ મોલમાં જતાં અડધાથી વધુ પ્રવાસીઓ માત્ર ફરવાના બહાને કે અન્ય કારણસર જ જતાં હોય છે. મોલમાં જતાં માત્ર ૪૭.૧ ટકા લોકો જ ખરેખર કંઈ ખરીદી કરતાં હોય છે. મોલમાં જતાં દર પાંચમાંથી એક વ્યકિત અર્થાત્ ૨૧.૫ ટકા લોકો માત્ર નવરાશની પળો પસાર કરવા ત્યાં જતા હોય છે તો દર આઠમાંથી એક પ્રવાસી અર્થાત્ ૧૨.૫ ટકા લોકો ત્યાં ફિલ્મ જોવા અને ૯.૨ અર્થાત્ દર નવમાંથી એક વ્યકિત રેસ્ટોરાંમાં જમવા માટે મોલ સુધી પગ દોડાવે છે. અભ્યાસમાં એવું પણ જણાયું છે કે, મોલમાં જતાં ૩૦ ટકા લોકો પોતાની કાર લઈને જવાનું પસંદ કરે છે. સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના સંશોધકોએ શહેરના પાંચ મોલમાં ૬૫૦ વિઝીટર્સનું સર્વેક્ષણ કર્યું. તેમાં તેમણે વિઝીટર્સની ઉમર, લિંગ, વ્યાવસાસ, આવક, કારની માલિકી અને ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરેની માહિતી પણ લીધી છે. ત્યારબાદ આ તમામ પ્રશ્નોના આધારે આ તમામ બાબતો સહેલાણી પર કઈ રીતે પ્રભાવ પાડે છે, તેનો સાયકોલોજીકલ અભ્યાસ હાથ ધરાયો હતો.