અયોધ્યા મામલે સુપ્રિમકોર્ટનો ચુકાદો : તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના : ઉત્તર પ્રદેશમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા
દરેક જિલ્લામાં અસ્થાયી જેલ : અયોધ્યા આસપાસ સુરક્ષાદળોની 50 કંપનીઓ તૈનાત : અન્ય જિલ્લાઓમાં 70 કંપનીઓ ખડેપગે
નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં કાલે સર્વોચ્ચ અદાલત પોતાનો ચૂકાદો સંભળાવશે અયોધ્યા કેસના ચૂકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશનાં તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીડિયો કૉન્ફરન્સથી દરેક જિલ્લા કલેકટર અને એસપી સાથે વાત કરી હતી. યોગી આદિત્યનાથે આદેશ કર્યો કે રાજ્ય સ્તરે એક કંટ્રોલ રૂમ તેમજ દરેક જિલ્લામાં એક-એક કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરશે. મુખ્યમંત્રીએ કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં લખનઉ અને અયોધ્યામાં એક-એક હેલિકોપ્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અયોધ્યા જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં સૌથી વધારે જેલો બનાવવામાં આવશે. આ માટે સ્કૂલોની પસંદગી કરવામાં આવી છે. આંબેડકરનગરમાં આઠ અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાદળોની ઓછામાં ઓછી 50 કંપની તહેનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સુરક્ષાદળોની 70 કંપનીઓ તહેનાત છે