IDBIના ATMમાંથી પૈસા નહીં નીકળે તો રૂ. ર૦ વસૂલાશે
બેલેન્સના અભાવે એટીએમમાં ટ્રાન્ઝેકશન ફેલ થશે તો ગ્રાહકના ખાતામાંથી ચાર્જ કપાશે
નવી દિલ્હી તા. ૮: એલઆઇસી સાથે ભાગીદારી ધરાવતી પ્રાઇવેટ સેકટરની બેન્ક આઇડીબીઆઇએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આઇડીબીઆઇ બેન્કે બીજી બેન્કોના એટીએમમાંથી કેશ ઉપાડવા અંગેની નિયમોમાં બદલાવ કર્યો છે.
નવા નિયમો અનુસાર જો આઇડીબીઆઇ બેન્કનો કોઇ ગ્રાહક બીજી બેન્કના એટીએમમાંથી નાણાં ઉપાડવા જાય છે, પરંતુ પુરતું બેલેન્સ નહીં હોવાના કારણે જો તેનું ટ્રાન્ઝેકશન ફેઇલ થાય તો પણ તેના પર ચાર્જ લાગશે. એટીએમમાંથી જો બેલેન્સના અભાવે નાણાં નહીં નીકળે તો ગ્રાહકના ખાતામાંથી પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. ર૦ કપાઇ જશે. તેના પર ટેકસ અલગથી લાગશે. આ નવા નિયમ અંગે આઇડીબીઆઇએ પોતાના ગ્રાહકોને એસએમએસ કરીને જાણકારી આપી છે. આઇડીબીઆઇના એસએમએસ અનુસાર આ નવો નિયમ ૧ ડિસેમ્બરથી લાગુ પડી જશે. આઇડીબીઆઇ બેન્ક ઉપરાંત અન્ય બેન્કો પણ બીજી બેન્કોના એટીએમ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલે છે. બેન્ક ઓફ બરોડા આ માટે રૂ. ર૦ ફાઇનાન્શિયલ ચાર્જ તરીકે વસુલે છે.