BSNLના ૨૨,૦૦૦ કર્મચારીએ VRS માટે અરજી કરી
VRS સ્કીમને જબરદસ્ત પ્રતિસાદઃ ૭૭,૦૦૦ કર્મચારીઓ VRS લેવાના મૂડમાં
નવી દિલ્હી તા.૮: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃતિ યોજના (વીઆરએસ) જાહેર કર્યાના માત્ર બે જ દિવસમાં રર હજાર કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી દીધી છે. આમ, બીએસએનએલની વીઆરએસ યોજનાને કર્મચારીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા ૧.૫૦ લાખ છે, જેમાંથી લગભગ એક લાખ કર્મચારી વીઆરએસ લેવા માટે પાત્ર છે. બીએસએનએલની વીઆરએસ યોજના પ નવેમ્બરે જાહેર થઇ હતી અને ૩ ડિસેમ્બર સુધી આ યોજના ખુલ્લી રહેશે. માત્ર બે જ દિવસમાં ૨૨ હજારથી વધુ કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી દીધી છે.
બીએસએનએલને આશા છે કે ૭૭,૦૦૦ જેટલા કર્મચારી આ વીઆરએસ યોજનાનો લાભ ઉઠાવશે. અધિકારીએ જણાવ્યું છે કે વીઆરએસ માટે અરજી કરનાર ૧૩,૦૦૦ કર્મચારીઓ ગ્રુપ-જી શ્રેણીના છે. દરેક કેટેગરીના કર્મચારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.