૯ર હજાર કરોડના દંડની ટેલીકોમ ઉદ્યોગને થશે ભારે અસર
ટેલિકોમ ઓપરેટરોને સરકાર પાસેથી રાહતની આશા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ટેલીકોમ ઉદ્યોગો ૯ર૦૦૦ કરોડ સરકારને ચુકવી આપવાના આદેશના બે અઠવાડીયા પછી, ભારે દેવા અને ખોટનો સામનો કરી રહેલા ટેલીકોમ ઉદ્યોગને આના માટે સરકારે નિમેલી સમીની પાસેથી રાહતની અપેક્ષા છે.નિષ્ણાતોના કહેવા અનુસાર, રાહત પેેકજથી ટેલીકોમ ઇન્ડસ્ટ્રી ચાલી શકશે. તેમાં થયેલું કરોડો ડોલરનું રોકાણ બચી જશે એટલું જ નહીં તેનાથી ડીજીટલ ઇકોનોમી પણ બચી શકશે. ઇમર્જીગ માર્કેટ, ટેકનોલોજી મીડીયા અને ટેલીકોમ લીડર પ્રશાંત સિંઘલે કહયું કે ૯ર૦૦૦ કરોડ રૂપિયા ભરવાના કારણે બ્રોડ બેન્ડ, નેટવર્કનું વિસ્તરણ અને ડીજીટલ ઇન્ડીયાની પ્રક્રિયા સ્થગીત થઇ જશે. એટલે આ બાબતે સરકારે તાત્કાલીક કંઇ કરવું જરૂરી છે.
સુપ્રિમના આદેશ પછી ગયા અઠવાડીયે સરકારે આમાં રાહતના પગલા સુચવવા માટે કેબીનેટ સેક્રેટરીના વડપણ હેઠળ સચિવોની એક સમિતિ નીમી છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયા (સીઓએઆઇ) એ જુની હરરાજીમાં ખરીદવામાં આવેલ સ્પેકટ્રમની પેનલ્ટી, વ્યાજ વગેરેમાં માફીની માગણી કરીને ચુકવવાની રકમ હપ્તે હપ્તે ચુકવવાની માગણી કરી છે. ભારતીય એરટેલ ઉપર ર૧૬૮ર કરોડ, જયારે વોડાફોન આઇડીયા ઉપર ર૮૩૦૯ કરોડની પેનલ્ટી બાકી છે. તેની સામે જીઓના ફકત ૧૩ કરોડ રૂપિયા જ છે. આના સિવાય બજારમાં હવે કોઇ ખાનગી ઓપરેટરો બચ્યા નથી. એર સેલ અને રિલાયન્સ કોમ્યુનીકેશન નાદાર જાહેર થયા છે જયારે ટાટાએ પોતાનો ધંધો એરટેલને વેચી દીધો છે.