મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

છત્તીસગઢમાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર : અર્બન નક્સલીઓને સમર્થન આપવાનો આરોપ

માઓવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને કોંગ્રેસ નેતાઓ તેમને ક્રાંતિકારી ગણાવે છે.

જગદલપુર: વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જગદલપુરમાં મેગા રેલી યોજીને ભાજપના ચૂંટણી પ્રચારની રણશિંગુ ફુક્યું છે  પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર અર્બન નક્સલીઓને સમર્થન આપવાનો આરોપ મૂક્યો છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ નેતાઓએ જવાબ આપવો જોઈએ કે જ્યારે સરકાર અર્બન નક્સલીઓ પર કાર્યવાહી કરે છે ત્યારે તે તેમનો બચાવ કેમ કરે છે? જંગલોથી દૂર શહેરોમાં રહેલા અમીર લોકો (અર્બન નક્સલ) રિમોટ કંટ્રોલથી આદિવાસીઓની જિંદગી બરબાદ કરે છે.

  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “જે અર્બન માઓવાદી છે તે શહેરોમાં રહે છે અને સ્વચ્છ રહે છે. તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે પરંતુ અહીં બેઠેલા આદિવાસીઓના બાળકોની જિંદગી ખરાબ કરે છે. કોંગ્રેસના લોકો તેમને સાથ આપે છે. જે બાળકોના હાથમાં પેન હોવી જોઈએ તેમના હાથમાં આ રાક્ષસી મનોવૃત્તિના લોકો બંધૂક પકડાવી દે છે. તેમની જિંદગી બરબાદ કરી નાખે છે. જે લોકો સ્કૂલમાં આગ લગાડે તે રાક્ષસી મનોવૃત્તિના નથી તો કોણ છે?”
  થોડા દિવસ પહેલા દૂરદર્શનના કેમેરામેનની હત્યાનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો, PMએ કહ્યું કે, “પત્રકારનો શું વાંક હતો? તે તો તમારા સપના માટે કેમેરા ખભા પર ઊચકીને આવ્યો હતો તેને પણ મારી નાખ્યો. માઓવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને કોંગ્રેસ નેતાઓ તેમને ક્રાંતિકારી ગણાવે છે. શું આવી કોંગ્રેસની જગ્યા ભારતમાં હોવી જોઈએ?” પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર દેશને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવતા કહ્યું કે, જૂઠ્ઠાણું ફેલાવનારાઓનું કોઈ ભવિષ્ય નથી.

  વડાપ્રધાને આરોપ લગાવ્યો કે, “કોંગ્રેસ પાર્ટી દલિત, ગરીબ, વંચિત, શોષિત લોકોને વોટબેંકનો ખજાનો માને છે. કોંગ્રેસ આ લોકોને માણસ માનવા તૈયાર નથી. કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓની મજાક ઉડાવે છે. કોંગ્રેસના લોકો આદિવાસીઓના કપડાં, ગીત-સંગીતની મજાક ઉડાવે છે.” પૂર્વોત્તર ભારતની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “આદિવાસીઓએ એકવાર મને પરંપરાગત પાઘડી પહેરાવી તો કોંગ્રેસે મજાક ઉડાવી. આદિવાસીઓ નારાજ થઈ ગયા એટલે કોંગ્રેસના લોકો ડરી ગયા. જૂની સરકારો જેના વિશે વિચારી પણ નહોતી શકતી તેવા નક્સલ વિસ્તારોમાં અમારી સરકારે વિકાસ કર્યો. અમે શહેર-ગામ, મારું-તારું, દલિત-પછાત, સ્ત્રી-પુરુષનો ભેદભાવ દૂર કર્યો. સૌનો સાથ એ જ વિકાસ. હવે તારા-મારાનો ખેલ દેશ નહીં સ્વીકારે.”

 

(5:07 pm IST)