મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

બિહારમાં એનડીએ ગઠબંધન પર ખતરો : અલગ થઇ શકે છે RLSP

લોકસભાની ચૂંટણીને લઇને બેઠકની વહેંચણીનું ગણિત સામે આવતા વિરોધનો સૂર તેજ

નવી દિલ્‍હી : બિહારમાં ભાજપની તરફથી એનડીએ ગઠબંધનના જૂના સાથી કરતાં નીતિશ કૂમારની જેડી(યુ) પાર્ટીને વધારે મહત્વ આપવાને લઇને કલશ ચાલી રહ્યો છે. હવે લોકસભાની ચૂંટણીને લઇને બેઠકની વહેંચણીનું ગણિત સામે આવતા વિરોધનો સૂર તેજ થઇ ગયો છે.

જેના કારણે ફરી એકવાર એનડીએના ગઠબંધનમાંથી એક પક્ષ ફરી બહાર જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ગઠબંધનના સહયોગ દળ રાલોસપાએ એનડીએમાંથી બહાર જવાના સંકેત આપ્યા છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા માધવ આનંદે કહ્યું કે તેમની પાર્ટી ત્રણ બેઠકથી ઓછી નહીં પરંતુ વધારે બેઠક પરથી ચૂંટણી લડવા ઇચ્છે છે.

માધવ આનંદે જણાવ્યું કે તેમની પાર્ટી એનડીએમાં રહેવું કે રહેવું તે અંગે નિર્ણય લઇ શકે છે. જ્યારે બીજ તરફ ભાજપના ધારાસભ્ય નિતીન નવિને કહ્યું માત્ર ભાજપે નહીં પરંતુ બેઠકોને લઇને દરેક સાથી પક્ષોએ સમજૂતિ કરવી પડશે.

વચ્ચે આરજેડીના પ્રવકતાએ કહ્યું કે ભાજપના નેતાઓએ લોક જન શક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન તેમજ રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહ સાથે નાઇન્સાફી કરી છે. તેમણે દાવો કર્યો કે બંને પાર્ટી ટૂંક સમયમાં મહાગઠબંધનમાં જોડાઇ જશે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટબરના અંતમાં જેડી(યુ) અધ્યક્ષ નીતિશ કુમાર અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મુલાકાત યોજાઇ હતી. જેમાં 2019ની લોકસભાની ચૂંટણીને લઇને સમજૂતિ કરવામાં આવી હતી.

(1:07 pm IST)