મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

નોટબંધીના બે વર્ષ: ‘નાના વેપારીઓની પથારી ફરી ગઈ’

પ્રમોદ રાય, નવી દિલ્હી: નોટબંધી વિરૂદ્ધ કારોબારી સંગઠનોની સૌથી મોટી દલીલ એ છે કે ખુદ સરકારી આંકડાં અનુસાર દેશમાં માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસની સંખ્યા 4 કરોડ જેટલી છે. જ્યારે જીએસટી રજિસ્ટ્રેશન એક કરોડની આસપાસ છે. એટલે કે, 75 ટકા વેપારીઓ અસંગઠિત ક્ષેત્રના છે, જેમનું ટર્નઓવર 20 લાખ રૂપિયાથી ઓછું છે.

ચેમ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝના કન્વીનર બ્રજેશ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત કેશ આધારિત અર્થવ્યવસ્થા છે, અને નોટબંધીએ તેની કરોડરજ્જુ પર હુમલો કર્યો છે. આ મારથી નાના ધંધાર્થીઓ હજુય બહાર આવી શક્યા નથી. આરબીઆઈએ માન્યું છે કે, 15.44 લાખ કરોડમાંથી 15.31 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં પાછા આવી ગયા છે, મતલબ કે બ્લેક મની તો ખતમ ન થયું પરંતુ અસંગઠિત ક્ષેત્રના વેપારધંધા ખોરવાઈ ગયા. લાખો યુનિટો બંધ થયા અને અનેક લોકો બેરોજગાર બન્યા.

ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના જનરલ સેક્રેટરી વિજય પ્રકાશ જૈન કહે છે કે, અસંગઠિત ક્ષેત્ર અને નાના વેપારી નોટબંધીના મારથી બહાર આવે તે પહેલા તો જીએસટી આવી ગયો. તેનાથી મોટી સંખ્યામાં કારોબારી મુખ્યધારામાં આવવાને બદલે તેમાંથી કપાઈ ગયા, કારણકે જીએસટી અનરજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી ખરીદીને પ્રોત્સાહન નથી આપતું. નોટબંધીમાં જે નુક્સાન થયું, તેની ભરપાઈ ન થઈ શકી અને માર્કેટમાં કેશ હતું તેટલું પાછું આવી ગયું. ડિજિટલ પેમેન્ટથી સૌથી મોટો ફાયદો તો ઈ-વોલેટ કંપનીઓ અને ઈ-કોમર્સ કંપનીઓને મળે છે.

(12:19 pm IST)