શત્રુ સંપત્તિના શેર વેચીને ત્રણ હજાર કરોડની કમાણી કરશે સરકાર
નવી દિલ્હી: સરકારે શત્રુ સંપત્તિના શેર વેચવાનો મોટો નિર્ણય લીધો છે. ગુરવારે આ અંગેની પ્રક્રિયા અને કાર્યપદ્ધતિને મંજૂરી આપી દેવાઈ છે. હાલ દેશમાં રહેલી શત્રુ સંપત્તિની કિંમત લગભગ 3000 કરોડ રૂપિયા થવા જાય છે. કસ્ટોડિયન પાસે પડેલી શત્રુ સંપત્તિના શેર વેચવાથી સરકારને કમાણી તો થશે, સાથે તેનો વિનિવેશનો ટાર્ગેટ પણ પૂરો થશે.
શત્રુ સંપત્તિ અધિનિયમ 1968ના અનુસાર, શત્રુ સંપત્તિનો મતલબ એવી પ્રોપર્ટી કે જેની માલિકી એવા લોકોની હતી કે જેઓ ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. સરકારનો આ નિર્ણય ખાસ્સો મહત્વપૂર્ણ છે કારણકે તેનાથી દાયકાઓથી બેકાર પડેલી આ સંપત્તિઓનું વેચાણ થઈ શકશે.
શત્રુ સંપત્તિને લઈને સરકારે હાલમાં જ એક કાયદો બનાવ્યો છે. જોકે, હાલનો પ્રસ્તાવ શેર્સને લઈને છે, અને આવી મોટી પ્રોપર્ટીઓમાંથી એકનો માલિકી હક્ક લખનઉમાં રાજા મહમૂદાબાદ પાસે હતો. તેમના ઉત્તરાધિકારીઓએ આ પગલાંને આગળ વધાર્યું હતું.
20,323 શેરધારકોના 996 કંપનીઓમાં કુલ 6.50 કરોડ શેર સીઈપીઆઈ (કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયા)ના કબજામાં છે. તેમાંથી 588 કંપનીઓ જ હાલમાં કાર્યરત છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ 996 કંપનીઓમાંથી 588 કંપનીઓ સક્રિય, 139 લિસ્ટેડ અને બાકીની કંપનીઓ અનલિસ્ટેડ છે.