ચિદમ્બરમ વિરૂધ્ધ ચાર્જશીટની તૈયારીમાં CBI
૧૦૦ કલાકમાં પુછયા ૪૫૦ સવાલ
નવી દિલ્હી,તા.૯:INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમ વિરુદ્ઘ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI)એ ચાર્જશીટ દાખલ કરવા માટે તૈયારી કરી લીધી છે. ચાર્જશીટ આ મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરી શકાય તેમ છે. જો સીબીઆઇ ચાર્જશીટ દાખલ કરે છે તો ચિદમ્બરમને જામીન મળવાની સંભાવના ઓછી થઇ જશે.
સીબીઆઇના સૂત્રો મુજબ, ધરપકડ દરમિયાન ચિદમ્બરમને ૧૦૦ કલાકમાં ૪૫૦ સવાલ પૂછવામાં આવ્યા હતા. જે મોટાભાગે એફઆઇપીબી કલીયરેન્સ અને કાર્તિ ચિદમ્બરમથી સંબંધિત હતા. આ દરમિયાન ચિદમ્બરમનો સામનો સિન્ધુશ્રી ખુલ્લર અને પ્રબોધ સકસેના સહિત પાંચ વ્યકિતઓ સાથે કરાવાયો હતો.
પૂર્વ ગૃહ મંત્રી ચિદમ્બરમ તિહાડ જેલમાં બંધ છે અને એમને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. ચિદમ્બરમને ૫ સપ્ટેમ્બરે તિહાડ જેલ મોકલવામાં આવ્યા હતા અને ૧૯ સપ્ટેમ્બર સુધી તેમને કસ્ટડીમાં રાખવામાં આવશે. આ પહેલા સીબીઆઇએ એમને રિમાન્ડ પર રાખી ચૂકી છે. આ દરમિયાન તેમની ઘણી વાર પૂછપરછ પણ કરવામાં આવી.