યુદ્ધની સ્થિતિમાં કચ્છને નિશાના પર લેવા પાક.ની યોજના
કાશ્મીર તો માત્ર બ્હાનુઃ અસલમાં નિશાના ઉપર કચ્છઃ સરક્રીક ઉપર કબ્જાની ખોફનાક યોજનાઃ ૩૦થી ૪૦ કિ.મી. ગુજરાતમાં ઘુસી છાતી ઠોકશે કે વડાપ્રધાન અને ગૃહ પ્રધાનના ગૃહ રાજ્યમાં અમે કરી ઘુસણખોરી
શ્રીનગર, તા. ૯ :. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરાયા બાદ પાકિસ્તાન સૈન્યના પેટમાં ઉકળતુ તેલ રેડાયુ છે. તેનો ઉકળાટ એટલા માટે પણ વધી રહ્યો છે કે તેના લાખ પ્રયાસો છતા પણ કાશ્મીરમાં અશાંતિ ફેલાવી શકયા નથી. પાકિસ્તાન એક તરફ એલઓસી ઉપર ૨૮ આતંકી લોન્ચ પેડ પરથી ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે તો યુદ્ધની સ્થિતિમાં કચ્છના સરક્રીક વિસ્તાર પર કબ્જાની તેણે નાપાક વ્યુહરચના તૈયાર કરી હોવાનું જાણવા મળે છે.
સૈન્ય સૂત્રોનું માનીએ તો પાકિસ્તાને પોતાની રણનીતિમાં તાબડતોબ ફેરફાર કર્યો છે. યુદ્ધની સ્થિતિમાં કાશ્મીરને બદલે કચ્છને નિશાના પર રાખવામાં આવેલ છે.
ત્રીજી સપ્ટેમ્બરે ભારતીય સરહદથી ૧૫૦ કિ.મી. દૂર કરાંચીમાં મોટાપાયે વિવિધ સૈન્ય સંશાધનો સાથે અભ્યાસ કરાયો હતો. ત્રીસ સપ્ટેમ્બરે પણ યુદ્ધ અભ્યાસ થશે. કરાંચીના પરમાણુ વિજળી ઘરમાં ચીન ભાગીદાર છે. તેવામાં યુદ્ધની સ્થિતિમાં ચીનની પરોક્ષ મદદ પણ તેને મળી શકે છે.
પાકિસ્તાને ચાલ બદલી છે. પાકિસ્તાન ખુદ જ હુમલો કરશે અને તેનુ બ્હાનુ આપી ૩૦ થી ૪૦ કિ.મી. ગુજરાતમાં ઘુસી જશે. આનાથી સાયકોલોજીકલ વોર ફેરમાં જીત મળશે કે તે ભારતના વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ગૃહ રાજ્યમાં ઘુસીને કબ્જો કર્યો છે.(૨-૨)