મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

નવી વિજ ટેરિફ નીતિ લાવશે સરકાર

વીજ કંપનીઓની ખોટની સમસ્યા ઉકેલનો હેતુઃ દેશમાં મળશે ર૪ કલાક વિજળી

નવી દિલ્હી તા. ૯ :.. વિજળીનું વિતરણ કરતી કંપનીઓની ખોટની સમસ્યા ઉકેલવા માટે સરકાર ટૂંક સમયમાં નવી ટેરિફ પોલીસી જાહેર કરશે તેમ ઉર્જા મંત્રી આર. કે. સિંહે કહયું હતું. તેમણે કહયું હતું કે દેશભરમાં ર૪ કલાક વિજળી પુરવઠો પહોંચાડવામાં હવે આ એક જ મુશ્કેલી રહી છે.

પ્રાપ્તી પોર્ટલ અનુસાર જુલાઇના અંતે વીજ વિતરણ કંપનીઓએ ચૂકવવાની નિકળતી બાકી રકમ રૂ. ૭૩,૪રપ કરોડ હતી, જેમાં રૂ. પપર૭૬ કરોડની રકમ ઓવરડયુ છે. એટલે કે ૬૦ દિવસથી પણ વધુ સમયથી બાકી છે.

આર. કે. સિંહે કહયું હતું કે ગમે તેટલી માત્રામાં વિજળીનો પુરવઠો ટ્રાન્સફર કરવાની ક્ષમતા છે. દેશવાસીઓને ર૪ કલાક અને ૭ દિવસ વિજળી ન મળે તેનું કોઇ કારણ નથી. એકમાત્ર મુશ્કેલી કેટલીક વીજ વિતરણ કંપનીઓની ખોટની છે. વિજળી માટે ચુકવવાના નાણા તેમની પાસે નથી. આ અંગે સરકાર પગલા લઇ રહી હોવાનું જણાવીને તેમણે કહયું હતું કે કેન્દ્ર સરકારે વીજ વિતરણ કંપનીઓને વિજ ઉત્પાદક કંપનીઓ પાસેથી સપ્લાય મેળવવા માટે લેટર ઓફ ક્રેડિટની સવલત ફરજીયાત બનાવી દીધી છે. તેનો અમલ ૧ ઓગસ્ટ, ર૦૧૯ થી થઇ ગયો છે. તેને કારણે વીજ ઉત્પાદક કંપનીઓ પરનો નાણાકીય બોજ હળવો કરવા માટે સમય મળશે.

તેમણે કહયું હતું કે નવી ટેરિફ નીતિ તૈયાર થઇ ગઇ છે. અને કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મોકલી પણ દેવાઇ છે. ઉર્જા મંત્રાલય ઉદય ર.૦ (યુડીએવાય -ર.૦) યોજના પર કામ કરી રહ્યું છે જે ચાલુ નાણાકીય વર્ષમાં જ લોન્ચ કરી દેવાશે. આ નવી ટેરીફ નીતિ અંતર્ગત વીજ વિતરણ કંપનીઓએ નાણાંની  મોડી ચુકવણી માટે સરચાર્જ ચુકવવો પડશે જે બજારમાં ચાલતા વ્યાજના દર જેટલો જ રહેશે. યુડીએવાય ર.૦ લોન્ચ થયા પછી જો વિજ વિતરણ કંપની તેની ખોટ ઘટાડવા માટે પગલાં નહીં લે તો સરકાર તેને કોઇ ગ્રાન્ટ કે લોન નહીં  લે તો સરકાર તેને કોઇ ગ્રાન્ટ કે લોન નહીં આપે.

નવી ટેરિફ નીતિમાં ગ્રાહકોને વધુ સત્તા આપવા અંગે તેમણે કહયું હતું કે 'અમે ગ્રાહકોના હકને પણ સમાવ્યા છે. અગાઉ તેનો કોઇ ઉલ્લેખ ન હતો. અમે કહીએ છીએ કે આ એક સેવા છે. જો વીજ વિતરણ કંપનીઓ લોડ શેડિંગ કરશે તો તેમને દંડ થશે.'

વીજ પુરવઠાના ખર્ચની અન્ડર રિકવરી અંગે તેમણે કહયું હતું કે વીજ વિતરણ કંપનીઓ તેની બિનકાર્યક્ષમતાનો બોજ ગ્રાહકો પર ન નાખી શકે. અગાઉ તેઓ અન્ડર રિકવર્ડ પાવર સપ્લાય ખર્ચ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલતી હતી. ૭૦ ટકા ગ્રાહકો ૧૦૦ ટકા ગ્રાહકની રકમ ચુકવતા હતાં. આ અન્યાય છે. હવે ૧પ ટકાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીને અન્ડર-રિકવર્ડ પાવર સપ્લાય ખર્ચના ૧પ ટકા રકમ વસુલવાની સત્તા મળશે. તેનાથી વધારે નુકસાન હશે તો તે રકમ વીજ કંપનીએ કે રાજય સરકારે ચૂકવવાની રહેશે. ગ્રાહકોનો આ હક છે.

ગ્રાહકોને વીજ કંપનીઓ દ્વારા અપાતી સર્વિસ માટેના પણ ચોકકસ ધોરણો-માપદંડ નકકી કરવાની જોગવાઇ નવી નીતિમાં છે. જો કંપની આ માપદંડ મુજબ ગ્રાહકોને સર્વિસ નહીં આપે તો સેન્ટ્રલ ઇલેકિટ્રસિટી ઓથોરિટી કંપનીને દંડ કરશે. (પ-પ)

(10:01 am IST)