જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓનાં મોત થયા
મોતનું કારણ હજુ પણ અકબંધ : ઝેરી ગેસના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન હોવાનું બહાર આવ્યું, પોલીસ સ્ટેશનના અધિકારી ઘટનાસ્થળે
જોધપુર, તા.૯ : રાજસ્થાનના જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓના મોત નીપજ્યાં છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. ઝેરી ગેસના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દેચુ પોલીસ મથકના લોટા વિસ્તારની આ ઘટના છે. દેચુ પોલીસ મથકના અધિકારી હનુમાન રામ ઘટનાસ્થળે પહોંચી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ મૃતકો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા હોવાનું કહેવાય છે.
આ બધા લોકો અચલાવતા ગામે ખેતીકામ કરતા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ૧૧ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃત્યુ મામલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પરંતુ સ્થાનિકો સમગ્ર ઘટના અંગે કઈપણ બોલવાનું ટાળી રહ્યા છે. પોલીસે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે. વિગતો મુજબ પાકિસ્તાનના શરણાર્થીઓએ રાજસ્થાનના સરહદી ગામોમાં મોટાપાયે આશરો લીધો છે. પાકિસ્તાની શરણાર્થીઓ લગભગ અનેક ગામોની સંપૂર્ણ વસ્તી છે.