કોંગ્રેસ નેતાઓ ઉપર બીજેપીની નજરઃ ઘણા મોટા નેતા છોડી શકે છે પાર્ટી
લોકસભાની ચૂંટણી પછી હદ બહારના ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે કોંગ્રેસઃ રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ પાર્ટી છોડી ચુકયા છે
લખનોૈ: લોકસભાની ચૂંટણીઓમાં હાર પછી કોંગ્રેસ પાર્ટીના અત્યંત ખરાબ દિવસો આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પોતાના જ નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. એટલુ જ નહિ પરંતુ પાર્ટીની ગાઇડ લાઇનને અવગણી નિવેદનબાજી કરી રહ્યા છે. કોંગ્રેસને કમજોર કરવાની બાકીની કસર ભારતીય જનતા પાર્ટી પુરી કરી રહી છે. ભાજપની નજર કોંગ્રેસના એવા અસંતુષ્ટ નેતાઓ પર છે જેમનું માનવું છે કે હવે જનતાનો ભરોસો કોંગ્રેસના બાકીના નેતાઓ ઉપરથી ઉઠી ગયો છે. જેમાં ૨૦૧૯માં કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડ્યા હતાં તેવા મોટા ભાગના નેતાઓનો સમાવેશ થાય છે. સુત્રોનું માનીએ તો બીજેપીના પ્રદેશન નેતૃત્વ સાથે અંતિમ દોરની વાતચીત ચાલી રહી છે. આવા નેતાઓ ગમે ત્યારે ભાજપનો ખેસ પહેરી શકે છે. અગાઉ રાજ્યસભા સાંસદ અને સુલતાનપુરથી લોકસભા ચૂંટણી લડેલા સંજયસિંહે કોંગ્રેસ પાર્ટીથી નાતો તોડી ભાજપની સદસ્યતા લઇ લીધી છે.