મરાઠા અનામત : આજ ગુરુવારે મહારાષ્ટ્ર બંધનું એલાન : હિંસાથી દૂર રહી બંધને સફળ બનાવવા મરાઠા ક્રાંતિ મોરચાની અપીલ
મુંબઈ : શાંત પડી ગયેલું જણાતું મરાઠા આંદોલન ફરીથી શરૂ થયું છે.જે મુજબ આરક્ષણ સહિત વિવિધ માંગોના કારણે મરાઠા ક્રાંતિ મોર્ચાએ ગુરુવારે સુર્યોદયથી સૂર્યાસ્ત (સાંજે 6 વાગ્યા)સુધી મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર દૂધ અને મેડિકલ જેવી જરૂરી સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પુણે સહિત રાજ્યના ઘણાં જિલ્લામાં સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પુણેમાં અમુક ખાનગી કંપનીઓએ પણ રજા જાહેર કરી દીધી છે. બંધ દરમિયાન મરાઠાઓને હિંસાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પુણેના સાત જિલ્લા શિરુર, ખેડ, બારામતી, જુનાર, માવલ, ડુંડ અને ભોરમાં આજના દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.