મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

યુપીઃ માફીયા ડોન મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા

આજે કોર્ટમાં રજુ કરવામાં આવે તે પૂર્વે જ જેલમાં ગોળી ધરબી દેવામાં આવી

નવી દિલ્હી, તા. ૯ :. પૂર્વાંચલના કુખ્યાત ડોન પ્રેમપ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવામાં આવી છે. તેને ગોળી મારી પતાવી દેવાયો હતો. આજે તેને કોર્ટમાં રજુ કરવાનો હતો તે પૂર્વે જ તેની હત્યા થઈ ગઈ હતી. આ ઘટના બાદ જેલ તંત્રથી લઈને લખનઉ સુધી ખળભળાટ મચી ગયો છે. મુન્ના બજરંગીની હત્યા પાછળ વેસ્ટ યુપી અને ઉત્તરાખંડમાં સક્રીય સુનીલ રાઠી ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. અત્રે એ નોંધનીય છે કે, તેના પરિવારજનોએ પહેલા જ આશંકા વ્યકત કરી હતી કે બાગપત જેલમાં તેની હત્યા થઈ શકે તેમ છે.

પોલીસે આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે. મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમપ્રકાશ સિંઘ છે. તેનો જન્મ ૧૯૬૭માં થયો હતો. તેણે પાંચમાં પછી ભણવાનું છોડી દીધુ છે. કિશોર અવસ્થામાં જ તે ગુન્હાની દુનિયામાં આવી ગયો હતો.

(4:23 pm IST)