શું ભાજપ આરિફ મોહમ્મદ ખાનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે ?
રાષ્ટ્રપતિ ઉમેદવારને લઇ પીએમ મોદી ફરી એકવાર વિપક્ષને ચોંકાવી દેશે : આરિફ મોહમ્મદ ખૂબ જ ધાર્મિક અને ધર્મનિરપેક્ષતાના મુદ્દે ખૂબ જ ઊંડી સમજણ ધરાવે છે
નવી દિલ્હી તા. ૯ : રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેના સંભવિત ઉમેદવારોને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ એવા ઉમેદવારની શોધમાં છે કે જેના નામ પર સર્વસંમતિ બની શકે. એવો ઉમેદવાર કે જેના માટે વિપક્ષ પણ પોતાનો ઉમેદવાર ઊભો ન રાખે. જોકે, રાયસીના હિલ સુધી પહોંચવા માટે ભાજપના ઉમેદવાર માટે સર્વસંમતિનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. તેનું કારણ સરકાર પ્રત્યે વિપક્ષનું વલણ છે. આ એટલા માટે છે કારણ કે કેન્દ્ર સરકારને જાણ કરતી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા કથિત સતામણીથી પ્રાદેશિક પક્ષો સ્તબ્ધ છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે છત્તીસગઢના રાજયપાલ અનુસુઈયા ઉઈકે અને ઝારખંડના પૂર્વ રાજયપાલ દ્રોપદી મુર્મૂનું નામ પણ ચર્ચા છે. ઉઈકે મધ્ય પ્રદેશથી આવે છે, મુર્મૂ ઓડિશાના એક આદિવાસી જિલ્લા મયૂરભંજના રહેવાસી છે. આ તમામની વચ્ચે એક નામ કેરળના રાજયપાલ આરિફ મોહમ્મદ ખાનનું પણ છે. આ વચ્ચે એ સવાલ ઉઠી રહ્યા છે કે, શું ભાજપ તમામ અંદાજોને ફગાવી દેતાં આરિફ મોહમ્મદ ખાનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે. શું આરિફ મોહમ્મદ ખાનના નામ પર વિપક્ષ એકમત થઈ શકશે. સંભવ છે કે, પીએમ મોદી ફરી એકવાર વિપક્ષને ચોંકાવી દે.
હવે મોટો સવાલ છે કે, શું પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના રસ્તા પર ચાલશે. વાજપેયીએ વર્ષ ૨૦૨૨માં એ.પી.જે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. કલામના નામની જાહેરાત પર મુલાયમ સિંહે એનડીએનો સાથ આપ્યો અને પાર્ટીના મતભેદો છતાં કોંગ્રેસ પણ સાથ આપ્યો હતો. તેવામાં સવાલ થાય છે કે, શું આરિફ મોહમ્મદ ખાન પીએમ મોદી માટે કલામ સાબિત થશે.
કોંગ્રેસ નેતા રહેલાં આરિફ મોહમ્મદ ખાન હાલ કેરળના ગવર્નર છે. આરિફ મોહમ્મદ ખુબ જ ધાર્મિક અને ધર્મનિરપેક્ષતાના મુદ્દે ખુબ જ ઊંડી સમજણ ધરાવે છે. તે કટ્ટર ઈસ્લામની વિરૂદ્ધ છે. શાહબાનો કેસને લઈને રાજીવ ગાંધી સરકારથી મંત્રીપદથી રાજીનામું આપી દીધા બાદ પહેલી વખત આરિફ મોહમ્મદ ખાન ચર્ચામાં આવ્યા હતા. બીજેપીએ આરિફ મોહમ્મદ ખાનને એક પ્રગતિશીલ મુસ્લિમ ચહેરો માને છે. ૨૬ ટકા મુસ્લિમ વસ્તીવાળા રાજય કેરળના રાજયપાલ બનાવીને બીજેપીએ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, તે મુસ્લિમોની વિરુદ્ધમાં નથી.