કોરોના દર્દી પાસેથી હોસ્પિટલ્સ બે લાખથી વધુ કેશ પેમેન્ટ લઈ શકશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સનો મહત્વપૂર્ણ નિર્દેશ : ખાનગી હોસ્પિટલ, કોવિડ સેન્ટર, ડિસ્પેન્સરી, નર્સિંગ હોમ સહિતના મેડિકલ સેન્ટરમાં આ છૂટ ૩૧મી મે સુધી રહેશે
નવી દિલ્હી, તા. ૮ : ખાનગી હોસ્પિટલ, કોવિડ સેન્ટર, ડિસ્પેન્સરી, નર્સિંગ હોમ સહિતના તમામ મેડિકલ સેન્ટર હવે ૨ લાખથી વધારે રૂપિયાનું કેશ પેમેન્ટ સ્વીકારી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા આ છૂટ આપવામાં આવી છે. આ છૂટ ૩૧મી મે સુધી લાગુ રહેશે. જો કે, કેશ પેમેન્ટની મર્યાદા નક્કી નથી કરવામાં આવી.
હકીકતે ઈક્નમ ટેક્સ કાયદાની કલમ-૨૬૯જી્ દેશમાં કોઈ પણ વ્યક્તિની ૨ લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ-દેવડને રોકે છે. ૨૦૧૭માં સરકારે બ્લેક મનીના ઉપયોગને રોકવા માટે આ નિયમ બનાવ્યો હતો. આ નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિએ ૨ લાખ કરતા વધારે રૂપિયાની લેવડ-દેવડ કરવી છે તો તે ફક્ત ચેક, ડ્રાફ્ટ, નેટ બેક્નિંગ કે ડિજિટલ પદ્ધતિથી જ થઈ શકશે.
દિલ્હી હાઈકોર્ટમાં આ કલમને સસ્પેન્ડ કરવા માટે એક અરજી દાખલ કરાઈ હતી. મનીષા ગુપ્તા નામની એક વ્યક્તિએ તે અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હોસ્પિટલો ૨ લાખ રૂપિયા કરતા વધારેનું કેશ પેમેન્ટ નથી સ્વીકારી રહી જેથી દર્દીઓની સારવારમાં મોડુ થઈ રહ્યું છે. સુનાવણી દરમિયાન સરકારે તે આ નિયમ અંતર્ગત છૂટ આપવા વિચારી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સીબીડીટીએ એક આદેશ બહાર પાડ્યો હતો જે મુજબ ખાનગી હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, નર્સિંગ હોમ સહિત તમામ મેડિકલ સેન્ટર જ્યાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી છે ત્યાં હવે ૨ લાખ કરતા વધારે રૂપિયાનું કેશ પેમેન્ટ થઈ શકશે. આ આદેશ પહેલી એપ્રિલના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને ૩૧મી મે સુધી લાગુ રહેશે. જો કે, હજુ સુધી કેશ પેમેન્ટની કોઈ લિમિટ નક્કી નથી કરવામાં આવી.