આજે ૩૪ મોત
સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩૧ પૈકી ૪ કોવીડ ડેથ થયા : શહેરમાં હાલ ૨૦૮૯ દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ તા. ૯: શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૩૪નો ભોગ લીધો છે . આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા. ૮નાં સવારના ૮ વાગ્યાથી આજે તા. ૯નાં સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના ૩૪ દર્દીઓના મોત નિપજયા હતા.
ગઇકાલે ૩૧ પૈકી ૪ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.
શહેર અને જીલ્લામાં સરકારી - ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૪૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યુ છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.
દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૩૧ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.