અશ્વગંધા- ગળો જેવી જડીબુટ્ટીઓ અને યોગ ચટાઇ માટે બનશે માપદંડ
નિકાસ વધારવા માટે ગુણવત્તા નક્કી કરવા માટે સરકાર કરી રહી છે તૈયારી
નવી દિલ્હી, તા.૯: મોદી સરકાર, આયુષ (આયુર્વેદ, યોગ, યુનાની, સિધ્ધ અને હોમીયોપથી) ઉત્પાદનો માટે માપદંડ નક્કી કરી રહી છે જેથી આ ક્ષેત્રની વસ્તુઓ અને સેવાઓની ગુણવતા નક્કી કરીને ભારતમાંથી તેની નિકાસ વધારી શકાય. આ માહિતી એક અધિકારીએ આપી હતી. તેણે કહયું કે વૈશ્વીકરણ અને ચિકીત્સાની પારંપરિક પ્રણાલીઓના વધી રહેલા ઉપયોગ સાથે, આયુષ પ્રણાલીઓ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો નક્કી કરવાની જરૂરિયાત ફરજીયાત થઇ ગઇ છે.
અધિકારીએ કહયું કે આયુષના માપદંડોના વિકાસ તથા ઉત્પાદનો અને સેવાની ગુણવતા નક્કી કરવાથી આંતરાષ્ટ્રીય સ્તરે વેપાર વધારવામાં મદદ મળશે. આ અધિકારી અનુસાર, આયુર્વેદીક શબ્દાવલી અને ઔષધીય નિર્માણની શબ્દાવલી પર ચાર ભારતીય માપદંડો પહેલા જ પ્રકાશિત થઇ ચૂકયા છે. અશ્વગંધા અને ગળો સહિત વિભીન્ન જડીબુટ્ટીઓ માટે આ રીતની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહયું કે યોગ ચટ્ટાઇના ભારતીય માપદંડ તૈયાર કરવાનું કામ ચાલી રહયું છે. આ ઉપરાંત, કેટલાક અન્ય ભારતીય માપદંડ બનાવવા અંગે પણ કામ ચાલી રહયું છે.