કાર્તિ અને સીએની એક સાથે જ પુછપરછ કરાશે
સીબીઆઈની અરજી સ્વીકારી લેવાઈ
નવીદિલ્હી,તા. ૯ : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કાર્તિ ચિદમ્બરમ અને તેમના સીએ ભાસ્કર રમનને તિહાર જેલમાં આમને સામને બેસાડીને પુછપરછ કરવા માટેની સીબીઆઈની અરજીને સ્વીકારી લેવામાં આવી છે. આઈએનએક્સ મિડિયા મામલામાં અગાઉ પણ કાર્તિ ચિદમ્બરમ અને ઇન્દ્રાણી મુખર્જીની આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. ચોથી માર્ચના દિવસે સીબીઆઈની ટુકડી તેમને પુછપરછ કરવા માટે લઇને મુંબઈ પહોંચી હતી જ્યાં સીબીઆઈના અધિકારીઓએ તપાસની હદ વધારીને કાર્તિ અને આઈએનએક્સ મિડિયાના ડિરેક્ટર પીટર અને ઇન્દ્રાણીની સાથે બેસાડીને પુછપરછ કરી હતી. ચાર કલાકથી પણ વધુ સમય સુધી કાર્તિની પુછપરછ કરાઈ હતી. સીબીઆઈ કાર્તિને લઇને મુંબઇના ભાઈકુલ્લા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જેલમાં લઇ ગયા બાદ ઇન્દ્રાણીને આમને સામને બેસાડીને પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્તિને આર્થર રોડ જેલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પીટરને રાખવામાં આવ્યો છે. ઇન્દ્રાણીએ સીબીઆઈ સમક્ષ એવી જુબાની આપી હતી કે, કાર્તિ ચિદમ્બરમે એફઆઈપીબી મંજુરી માટે આશરે છ કરોડરૂપિયાની માંગ કરી હતી.કાર્તિ ઉપર લાંચ સ્વિકાર કરવાનો ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યો છે.