મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

કોંગ્રેસ પક્ષ પર મુસ્લિમ પાર્ટી હોવાની છાપ ભાજપે લગાવી

૨૦૧૯માં પાર્ટીની ફરી જીત થશે : સોનિયા ગાંધી : ૨૦૧૯ની ચૂંટણીમાં મોદી સરકારના વચનોને મુખ્યરીતે મુદ્દા બનાવાશે : રાહુલ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસમાં

નવીદિલ્હી,તા. ૯ : લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષને એકમત કરવાના પ્રયાસમાં રહેલા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ અને સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ આક્ષેપો કરતા કહ્યું હતું કે, ભાજપે કોંગ્રેસની છાપ એક મુસ્લિમ પાર્ટી તરીકે ઉભી કરી છે જેના કારણે પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ નેતા અને તેઓ પોતે મંદિરોમાં જતા રહ્યા છે. પાર્ટી અધ્યક્ષનો હોદ્દો છોડી દીધા બાદ પ્રથમ વખત સોનિયા ગાંધીએ આત્મવિશ્લેષણ કરીને ભાષણ આપ્યું હતું. સાથે સાથે પોતાની નબળાઈઓ અને ભારતમાં લોકશાહીની ભૂમિકા સહિતના વિષય ઉપર વાત કરી હતી. એક સમાચાર ચેનલના કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, લોકશાહીમાં ચર્ચા અને મતભેદ બંને સ્વીકાર્ય છે પરંતુ એક તરફી હોવા જોઇએ નહીં. ૨૦૧૯માં પાર્ટી ફરી સત્તા ઉપર આવશે તેવો દાવો કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મુખ્ય મુદ્દા મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વચનોને રજૂ કરવાનો રહેશે. સોનિયાએ પ્રશ્ન કર્યો હતો કે, ૨૬મી મે ૨૦૧૪ પહેલા સંપૂર્ણ બ્લેકહોલની સ્થિતિ હતી. શુ ચાર વર્ષના ગાળામાં જ ભારત વિકાસ અને મહાનતાની તરફ આગળ વધ્યું છે. આ કહેવાની બાબત અમારા બુદ્ધિશાળી લોકોના અપમાન તરીકે છે. મંદિરો જવાના પ્રશ્નો ઉપર સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી ગણાવવામાં ભાજપે પ્રયાસ કર્યા હતા અને આમા સફળતા પણ મળી છે. રાજીવ ગાંધી સાથે પ્રવાસના ગાળા દરમિયાન તેઓ સંબંધિત ક્ષેત્રના મોટા મંદિરોમાં ચોક્કસપણે જતા હતા. ૧૩મી માર્ચના દિવસે વિપક્ષના નેતાઓને ડિનર માટે બોલાવવામાં આવ્યા છે. આ માત્ર ડિનર રહેશે નહીં. ભાજપના શાસનની સામે વિપક્ષની એકતાને રજૂ કરવામાં આવશે. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ જાણતા હતા કે, મનમોહનસિંહ તેમના કરતા વધારે સારા વડાપ્રધાન તરીકે રહેશે તેવી બાબતને ધ્યાનમાં લઇને ૨૦૦૪માં તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી છોડી દીધા બાદ હવે તેમની પાસે ખુબ વધારે સમય છે. અનેકરીતે ચિંતામુક્ત થયા છે. રાહુલને સલાહ આપવાના પ્રશ્ને સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તેઓ પોતે આવા પ્રયાસ કરતા નથી. રાહુલ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માટે વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરી રહ્યા છે જે કામ કરળ નથી. પૂર્વોત્તર રાજ્યોમાં મતોની ગણતરી દરમિયાન રાહુલના દેશમાં હાજરી નહીં હોવાના કારણે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર બાદ રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે ઇટાલીમાં પોતાની માની પાસે પહોંચ્યા હતા. પોતાની પુત્રી પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, પ્રિયંકા હાલમાં બાળકોની કાળજી લેવામાં વ્યસ્ત છે. રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય તેમનો પોતાનો રહેશે.

(7:23 pm IST)