પંજાબ નેશનલ બેન્કે રિઝર્વ બેન્ક પાસે નીરવ મોદીના કૌભાંડની જોગવાઇ મુદ્દે રાહતની માંગણી કરી
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલ નીરવ મોદી પ્રકરણમાં પંજાબ નેશનલ બેન્કે રિઝર્વ બેન્ક પાસે કૌભાંડની જોગવાઇ બાબતે રાહતની માંગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર PNBએ RBI પાસે કૌભાંડના નુકસાનની જોગવાઈને ચાર ક્વાર્ટરમાં વહેંચવાની મંજૂરી માંગી છે. સૂત્રના જણાવ્યા અનુસાર PNBએ LoU કૌભાંડમાં નુકસાનની જોગવાઈ અંગે RBI પાસે સ્પષ્ટતા માંગી છે. ઉપરાંત, નુકસાનનો સંપૂર્ણ બોજ ૩૧ માર્ચ સુધીમાં વેઠવો કે નહીં તેની પણ પૂછપરછ કરી છે.
બેન્કે જોગવાઈ બાબતે રાહતની માંગણી કરી છે. કારણ કે સમગ્ર નુકસાનની જોગવાઈ એક જ ક્વાર્ટરમાં કરવાનું બહુ મુશ્કેલ રહેશે. સૂત્રના જણાવ્યા અનુસાર બેન્કે નુકસાનના જોગવાઈની વહેંચણી આગામી કેટલાંક ક્વાર્ટરમાં કરવાની મંજૂરી માંગી છે. ચર્ચામાં સક્રિય વ્યક્તિએ જણાવ્યું હતું કે, PNBએ RBIને જણાવ્યું હતું કે તેને 4 ક્વાર્ટર કે વધુ ગાળામાં નુકસાનની જોગવાઈ વહેંચવાની મંજૂરી આપવી જોઈએ. બેન્કને કુલ નુકસાનની ૪૦ ટકા રકમ પરત મળવાનો અંદાજ છે. એટલે બેન્કની આ માંગ વાજબી હોય તેમ જણાય છે.
RBIની જોગવાઈના નિયમ પ્રમાણે બેન્કોએ કૌભાંડ પકડાય ત્યારે તરત જ સંપૂર્ણ રકમની જોગવાઈ કરવી પડે છે. નિયમ અનુસાર ત્રિમાસિક નફા-નુકસાનની જોગવાઈની અસરને હળવી કરવા બેન્કો પાસે એ રકમને મહત્તમ ચાર ક્વાર્ટરમાં વહેંચવાનો વિકલ્પ છે. જેનો પ્રારંભ જે ક્વાર્ટરમાં કૌભાંડ પકડાય ત્યારથી કરવામાં આવે છે.
PNBના મેનેજમેન્ટે 15 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બેન્કે તાત્કાલિક કેટલી જોગવાઈ કરવી પડશે તેની ચોક્કસ રકમ આપવાનું મુશ્કેલ છે. કારણ કે હજુ તપાસ ચાલી રહી છે. ત્યાર પછી 16 ફેબ્રુઆરીના એનાલિસ્ટ કોલમાં મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે, PNBએ અન્ય તમામ બેન્કોના ક્લેમ ચૂકવવા પડે તો પણ તેને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) હેઠળ નહીં મુકાય.