મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

PNB કૌભાંડ વિસ્તર્યુઃ CBIએ ત્રીજો કેસ નોંધ્યોઃ કૌભાંડ ૧૨૯૦૦ કરોડે પહોંચ્યું

ફોટોઃ પીનબી-ફ્રોડ સીબીઆઇ ત્રીજો કેસ નોંધ્યો

મુંબઇઃ દેશભરમાં ખળભળાટ મચાવનાર પંજાબ નેશનલ બેન્કમાં નીરવ મોદીના કૌભાંડનો વધુ વિસ્તાર થયો છે. કેમ કે, સીબીઆઇ આ કૌભાંડમાં વધુ ક કેસ નોંધાવ્યો છે અને ગોટાળાની રકમ ૧૨,૯૦૦ કરોડ સુધી પહોંચી છે.

2017 પૂર્વે થયેલા છેતરપિંડીભર્યા વ્યવહારોને પ્રથમ વખત ધ્યાનમાં લેવાયા છે તેથી સરકારી બેન્કને થયેલી ખોટ રૂ.12,638 કરોડના અગાઉના અંદાજથી વધીને રૂા.12,900 કરોડે પહોંચી છે. ત્રીજો ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) ચોથી માર્ચના રોજ ફાઇલ કરવામાં આવ્યો હતો.

એફઆઇઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી નીરવ મોદીના ફ્લેગશિપ ફાયરસ્ટાર જૂથે બીજા સાથે મળીને પીએનબીને રૂ.321.88 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે. કંપનીઓને આપવામાં આવેલી ફંડ આધારિત અને નોન-ફંડ આધારિત મર્યાદાનો ઉપયોગ જેની મંજૂરી મળી હોય એવા હેતુ માટે થયો ન હતો. તેમને કાચા હીરાની આયાત અને ઝવેરાતની નિકાસ માટે આની મંજૂરી મળી હતી. ઝવેરીઓ મોદી, મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓની સાથે પીએનબીના અધિકારીઓ પર આ છેતરપિંડીના મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ છે.

પીએનબીની ફરિયાદના આધારે 31 જાન્યુઆરીએ નોંધાવવામાં આવેલી પ્રથમ એફઆઇઆરમાં જણાવાયું હતું કે 2017 દરમિયાન આઠ કથિત લેટર્સ ઓફ અંડરટેકિંગ (LoUs) અથવા રૂ.280.7 કરોડની ગેરંટી છેતરપિંડીપૂર્વક જારી કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીની બીજી એફઆઇઆરમાં આ જ ટ્રાન્ઝેક્શન્સ અંગે કહેવાયું હતું કે તે 2017-18માં (LoUs) દ્વારા થયા હતા અને નોન-ફંડ આધારિત ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટના લીધે રૂ.4,886,72 કરોડની ખોટ ગઈ હતી. તેના પછી ત્રીજી એફઆઇઆરમાં સીબીઆઇને જાણવા મળ્યું કે ચોક્સીના ગીતાંજલી જૂથે રૂ.6,138 કરોડની અને નીરવ મોદીના જૂથે બેન્કો સાથે રૂ.6,500 કરોડની છેતરપિંડી કરી છે.

હવે ચોથી માર્ચની એફઆઇઆરમાં ફંડ આધારિત મર્યાદાના ગોટાળાયુક્ત નાણાકીય વ્યવહારોની યાદીની સાથે નાના નોન-ફંડ આધારિત મર્યાદાનો ઉમેરો થયો છે, તેના લીધે છેતરપિંડીની કુલ રકમ રૂ.12,918.6 કરોડ (ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ અથવા એફએલસી અને એસબીએલસીના સ્ટેન્ડબાય લેટર્સ ઓફ ક્રેડિટ સિવાય) થઈ છે, જે અગાઉ રૂ.12,638 કરોડ હતી.

મોદીના ફાયરસ્ટાર ગ્રૂપ અને તેને સંલગ્ન કંપનીઓ તથા તેમના મામા ચોક્સીની કંપનીઓને આપવામાં આવેલી ગેરંટીઓ કે નોન-ફંડ આધારિત ધિરાણના લીધે આ નુકસાન થયું છે.

તાજેતરની એફઆઇઆરમાં મોદીની મુખ્ય કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ (એફઇઆઇએલ) અને ફાયરસ્ટાર ડાયમંડ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (એફડીઆઇપીએલ) રવિ શંકર ગુપ્તા, સીએફઓ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ, વિપુલ અંબાણી, પ્રેસિડન્ટ (ફાઇનાન્સ), ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ અને પીએનબીના અજાણ્યા કર્મચારીઓ પર છેતરપિંડીનો આરોપ મુકાયો છે, જેના લીધે પીએનબીને રૂ.321.88 કરોડની ખોટ ગઈ હતી. પ્રથમ એફઆઇઆરમાં નીરવ મોદીની માલિકીની ત્રણેય ભાગીદારી પેઢીનાં નામ હતાં, પરંતુ તેમાં ફાયરસ્ટાર ન હતી.

(6:26 pm IST)