મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

બીજા દિવસે તેજી : સેંસેક્સમાં ૧૦૪ પોઇન્ટ સુધી સુધાર થયો

શરૂઆતમાં સેંસેક્સ સુધરીને ૩૩૪૫૫ની સપાટીએ : નિફ્ટી ૪૨ પોઇન્ટ સુધરી ૧૦૨૮૪ની સપાટી પર રહ્યો

મુંબઇ,તા. ૯ : શેરબજારમા આજે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૦૪ પોઇન્ટ ઉછળીને ૩૩૪૫૫ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૪૨ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૨૮૪ની સપાટી પર હતો. સવારમાં રેંજ આધારિત કારોબાર થયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. અલ્હાબાદ બેંક, કેનેરા બેંક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના શેરમાં ઘટાડો રહ્યો હતો. ગુરૂવારના દિવસે વોલ સ્ટ્રીટમાં ડાઉ જોન્સ ૦.૩૮ ટકા સુધરીને બંધ રહ્યો હતો. જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૦.૪૫ ટકા અને નાસ્ડેકમાં ૦.૪૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. છ સેશનથી ચાલી રહેલી મંદી ઉપર ગુરૂવારના દિવસે આખરે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ રિકવર થઇને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ રિકવર થઇને ૩૩૩૫૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૨૪૨ની સપાટીએ રહ્યો હતો.હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો. એકંદરે છેલ્લા છ કારોબારી સેશનમાં ઇન્ડેક્સમાં ૧૪૧૩ પોઇન્ટનો ઘટાડો થયા બાદ હવે રિક્વરી થઇ છે. લાંબી મંદી બાદ શેરબજારમાં છેલ્લા બે દિવસતી રિક્વરીનો દોર જારી છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી મંદી રહ્યા બાદ હવે કારોબારી વધારે રોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. પૈસાને લઇને કારોબારી સાવધાન છે. કારણ કે બેકિંગ શેરમાં હાલમાં તીવ્ર કડાકો બોલી ગયો છે. અમેરિકામાં ટેરિફને લઇને પણ ચર્ચા છે. ટેરિફમાં કેટલાક દેશોને રાહત પણ આપવામાં આવી છે.

(12:52 pm IST)