મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

૨૯ વખત મોદી સમક્ષ મદદ માટે રજૂઆત કરાઈ : નાયડુ

આંધ્રને લઇને અપાયેલા ૧૯ વચનો પળાયા નથી : પૂર્વોત્તર રાજ્યોને લઇને મજબૂતી સાથે કામ થઇ રહ્યું છે પરંતુ આંધ્રની સાથે ભેદભાવ : ચંદ્રાબાબુ નાયડુનો દાવો

નવીદિલ્હી,તા. ૮ : આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્યમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારમાંથી ભાજપના બે પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે. નાયડુએ આજે રાજ્ય વિધાનસભામાં વાત કરતા કહ્યું હતું કે, મોદી સરકાર સાથે અલગ થવાના નિર્ણયને લઇને કોઇ દુવિધા નથી. બિલકુલ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. નાયડુએ કહ્યું હતું કે, ૨૯ વખત દિલ્લી ગયા હોવા છતાં અમને વડાપ્રધાન તરફથી કોઇ નક્કર ખાતરી મળી ન હતી. નાયડુએ આ ગાળા દરમિયાન પોતાની સરકારનો હિસ્સો રહેલા ભાજપના પ્રધાનોની પણ પ્રશંસા કરી હતી. વિધાનસભામાં નાયડુએ પોતાના મંત્રીઓના રાજીનામાની માહિતી આપતા કહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટમાં અમારા મંત્રીઓ અને અમારી કેબિનેટમાં ભાજપના પ્રધાનો રાજીનામા આપી રહ્યા છે. અલબત્ત ભાજપના મંત્રીઓએ રાજ્યમાં ખુબ સારી કામગીરી અદા કરી હતી. પોતપોતાના વિભાગમાં ભાજપના મંત્રીઓ અસરકારક રહ્યા હતા. નાયડુએ કહ્યું હતું કે, તેઓ ૨૯ વખત દિલ્હી જઇને આંધ્રપ્રદેશ માટે રજૂઆત કરી હતી પરંતુ તેમની તરફથી કોઇ પહેલ થઇ ન હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, નવા પાટનગરને વિકસિત કરવા માટે ફંડ, પાવરલુમ પ્રોજેક્ટ અને વિશાખાપટ્ટનમ માટે આપવામાં આવેલા વચનો પુરા થયા નથી. નાયડૂએ ભારપૂર્વક કહ્યું હતું કે, આંધ્રપ્રદેશ વિભાજન એક્ટ હેઠળ કરવામાં આવેલા તમામ ૧૯ વચનોને પૂર્ણ કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડી લેવાના નિર્ણય અંગે કહ્યું હતું કે, તમામ પ્રયાસો છતાં કોઇ કામગીરી ન થતાં આખરે છેડો ફાડી લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા નાયડુએ કહ્યું હતું કે, અરુણ જેટલીએ બુધવારે જે કહ્યું તે યોગ્ય નથી. પૂર્વોત્તર રાજ્યોમાં મજબૂતી સાથે કામ થઇ રહ્યું છે પરંતુ આંધ્રપ્રદેશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું નથી.

(7:46 pm IST)