ટીડીપી બાદ અન્ય પાર્ટી પણ છેડો ફાડી શકે છે : શિવસેના
ભાજપ સાથે સાથી પક્ષોના સંબંધો સારા નથી : ધીમે ધીમે ફરિયાદો સપાટી પર આવી રહી છે : શિવસેના
નવી દિલ્હી,તા. ૮ : ટીડીપીએ કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડી લીધાના એક દિવસ બાદ એનડીએના અન્ય એક નારાજ સાથી શિવસેનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શિવસેના નેતા સંજય રાવતે કહ્યું છે કે, શિવસેનાને આની અપેક્ષા હતી. અન્ય પાર્ટીઓ પણ એનડીએથી અલગ થઇ રહી છે. સાથી પક્ષો સાથે ભાજપના સંબંધો ક્યારે પણ સારા રહ્યા નથી. ધીમે ધીમે તમામની ફરિયાદો બહાર આવશે અને ગઠબંધનથી અલગ પડશે. શિવસેનાએ અગાઉ પણ અનેક મુદ્દાઓને લઇને કેન્દ્ર સરકારની વ્યાપક ટિકાઓ કરી છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો ન મળ્યા બાદ આ મુદ્દે ટીડીપીએ સરકાર સાથે છેડો ફાડી લીધો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે મોડી રાત્રે એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારમાં ટીડીપીના પ્રધાનોએ આજે સવારે રાજીનામા આપ્યા હતા. જો કે, પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે, કેટલીક બાબતોને જાળવી રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે આપવામાં આવેલા વચનો પાળ્યા નથી. બજેટ સત્રના પ્રથમ દિવસથી જ તમામ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા હતા. કેન્દ્રમાં ટીડીપીના પ્રધાનો અશોક ગજપતિ રાજુ અને વાયએસ ચૌધરીએ આજે સવારે રાજીનામા આપી દીધા હતા. ટીડીપી દ્વારા સરકાર સાથે છેડો ફાડવાના નિર્ણયને ખુબ મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. બીજી બાજુ આંધ્રપ્રદેશમાં નવા સમીકરણોના સંકેત દેખાઈ રહ્યા છે. એક જવાબદાર નેતા તરીકે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવાની વાત પણ ઘણા સમયથી થઇ રહી છે. ખાસ રાજ્યના દરજ્જાને લઇને ભાજપ અને ટીડીપી વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. ખાસ રાજ્યની માંગ ખુબ જ જટિલ માંગ છે અને આ માંગને પૂર્ણ કરવાની બાબત ખુબ જ મુશ્કેલરુપ રહેલી છે.