મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

આંધ્રઃ TDP-BJPની દોસ્તી તૂટીઃ ભાજપના મંત્રીઓએ આપ્યા રાજીનામા

રાજીનામાનો દોર શરૂ

હૈદ્રાબાદ તા. ૮ : આંધ્રપ્રદેશને ખાસ રાજયનો દરજ્જો આપવા પર શરુ થયેલા BJP અને TDPના રાજકીય ઘમાસણમાં હવે રાજીનામાં આપવાની શરુઆત થઈ ગઈ છે. ટીડીપી પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બુધવારના રોજ જાહેરાત કરી કે તેમની પાર્ટીના બે મંત્રી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાંથી રાજીનામું આપશે. હવે ભાજપે પણ નાયડુ સરકારમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશમાં ભાજપ કવોટામાંથી બે મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું છે.

અમરાવતીમાં મુખ્યમંત્રી કાર્યાલય પહોંચીને ભાજપના બે મંત્રીઓએ આંધ્રપ્રદેશ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલાં આંધ્રપ્રદેશમાં ભાજપના MLC પીવીએન માધવે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમારા મંત્રી ટીડીપી કેબિનેટમાંથી રાજીનામું આપશે. અમે પ્રજાની પાસે જઇશું અને તેમને જણાવીશું કે કેન્દ્રએ રાજય માટે બધું જ કર્યું છે. આઝાદી પછી અત્યાર સુધી કોઇપણ રાજયને કેન્દ્રમાંથી એટલું સમર્થન મળ્યું નહીં હોય, જેટલી અમારી સરકારે આંધ્રપ્રદેશને આપ્યો છે.

કેન્દ્રમાં ટીડીપી કવોટામાંથી મંત્રી વાઇ.એસ.ચૌધરીએ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે આ એક સારું પગલું નથી, પરંતુ દુર્ભાગ્યપણે અમુક કારણોસર અમે મંત્રી પદથી રાજીનામું આપી રહ્યા છીએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરવાના છીએ.

ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ રાત્રે ટીડીપી પ્રમુખે જાહેરાત કરી હતી કે તેમના બે મંત્રી કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપશે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આ એક અમારો અધિકાર છે. કેન્દ્ર સરકાર અમને આપેલા વચનો પૂરા કરી રહી નથી. અમે આ મુદ્દાને બજેટના દિવસથી ઉઠાવી રહ્યાં છે પરંતુ સરકાર તરફતી આ સંબંધમાં કોઇ જવાબ આવ્યો નથી. નાયડુએ કહ્યું કે તેઓ છેલ્લાં ચાર વર્ષથી ધીરજ દેખાડી રહ્યા છે અને તેમણે દર વખતે કેન્દ્ર સરકારે મનાવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે એક જવાબદાર નેતા તરીકે મેં વડાપ્રધાનને પોતાનો નિર્ણય જણાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મળી નહોતા શકયા. કેન્દ્ર સરકાર અમારી વાત સાંભળવાના મૂડમાં નથી. મને નથી ખબર કે મારાથી શું ભૂલ થઇ છે. તેઓ આવી વાતો કેમ કરી રહ્યાં છે? કેન્દ્રમાં ટીડીપી કવોટામાંથી અશોક ગજપતિ રાજુ અને વાઇ એસ ચૌધરીને મંત્રી બનાવાયા હતા.

(4:33 pm IST)