મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

Rcomને એસેટ વેચવા પર લવાદ કોર્ટનો પ્રતિબંધ

કંપનીએ તેનું જંગી ઋણ ઘટાડવાની કવાયતના ભાગરૂપે ડિસેમ્બર ૨૦૧૭માં વાયરલેસ કારોબાર રિલાયન્સ જીઓ ઇન્ફોકોમને વેચવાની યોજના જાહેર કરી હતી : કોર્ટના આદેશથી તેને મોટો ફટકો પડ્યો

નવી દિલ્હી, તા.૮  : ભારતીય લવાદ કોર્ટે રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) તથા તેની બે કંપનીઓને કોર્ટની મંજૂરી વગર કોઈ પણ એસેટ વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આરકોમ પાસેથી બાકી લેણાંની રકમ માટે એરિકસને કરેલી અરજીને પગલે ટ્રિબ્યુનલે આ વચગાળાનો આદેશ આપ્યો હતો. કંપનીએ તેનું જંગી ઋણ ઘટાડવાની કવાયતના ભાગરૂપે ડિસેમ્બર ૨૦૧૭માં વાયરલેસ કારોબાર રિલાયન્સ જીઓ ઇન્ફોકોમને વેચવાની યોજના જાહેર કરી હતી અને કોર્ટના આદેશથી તેને મોટો ફટકો પડ્યો છે.

સ્વિડિશ ટેલિકોમ ઇકિવપમેન્ટ ઉત્પાદક કંપની એરિકસનની ભારતીય પેટાકંપનીએ ૨૦૧૪માં આરકોમના દેશવ્યાપી નેટવર્કના ઓપરેશન અને સંચાલન માટે કંપની સાથે કરાર કર્યા હતાં. એરિકસને કુલ ૧૧.૫૫ અબજ ડોલરની રકમની માગ સાથે સપ્ટેમ્બર ૨૦૧૭માં અદાલતમાં અપીલ કરી હતી.

આ મામલે રિલાયન્સ જીઓ તથા આરકોમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ઉલ્લેખનીય છે કે આરકોમ દ્વારા જીઓ સાથેના સોદા સહિતની ઋણ ઘટાડવાની યોજના જાહેર કરાયા બાદ આરકોમની સૌથી મોટી લેણદાર ચાઇના ડેવલપમેન્ટ બેન્કે કંપની વિરૂદ્ઘની નાદારીની અરજી જાન્યુઆરીમાં પાછી ખેંચી હતી.

ઉલ્લેખનીય છે કે, જંગી દેવાના બોજ હેઠળ દબાયેલી આરકોમે રજૂ કરેલા દેવાની ચુકવણી માટેના પ્લાન મુજબ કંપનીએ સ્ટ્રેટેજિક રોકાણકારોનો બોર્ડમાં સમાવેશ કરવા ઉપરાંત આગામી માર્ચ સુધીમાં દેવાને ઇકિવટીમાં રૂપાંતરિત કર્યા વગર તથા સ્ટ્રકચર્ડ ડેટ રિકન્સ્ટ્રકશન (SDR) ફ્રેમવર્કમાંથી બહાર નીકળી ઋણની સંપૂર્ણ ચુકવણી કરવાની યોજના રજૂ કરી હતી.

દેવાની ચુકવણી અંગેની યોજનાની જાહેરાત કરતાં કંપનીના ચેરમેન અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે નવી યોજનાને કંપનીને ૧.૮ અબજ ડોલરના દેવા બદલ એનસીએલટીમાં ઢસડી જનાર ચીનના ધિરાણકર્તાએ ટેકો આપ્યો છે.

(11:16 am IST)