અયોધ્યા વિવાદના સમાધાન માટે સામે આવી ૩ સુત્રી ફોર્મ્યુલા
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સમક્ષ ૩ પ્રસ્તાવ રાખવામાં આવ્યાઃ આજથી શરૂ થયેલી હૈદ્રાબાદ બેઠકમાં થશે વિચારણાઃ અયોધ્યાનો મામલો કોર્ટની બહાર શાંતિપુર્વક ઉકેલવા માટે પડદા પાછળ જોરશોરથી કવાયત
અયોધ્યા તા.૯ : અયોધ્યાના મંદિર-મસ્જીદ વિવાદના ઉકેલ માટે ત્રણ સુત્રી ફોર્મ્યુલા સામે આવી છે. ફોર્મ્યુલામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સમક્ષ ત્રણ પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે. પ્રથમ પ્રસ્તાવમાં જણાવાયુ છે કે મંદિર ત્યાં જ બનવુ જોઇએ જયાં રામલલ્લા બિરાજમાન છે, મુસલમાન વિવાદીત સ્થળ પર દાવેદારી છોડી દયે અને બદલામાં અયોધ્યા વિધાનસભા ક્ષેત્રમાં સરયુની પાર ગોરખપુર હાઇવે પર બહાદુર શાહ જફરના નામથી એક આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપિત કરવામાં આવે તેના સંકુલની અંદર જ મસ્જીદનું નિર્માણ કરવામાં આવે.
બીજો પ્રસ્તાવ એ છે કે અયોધ્યા સ્થિત વિદ્યાકુંજની પાસે નિર્મોહી અખાડાની વિવાદીત જમીન છે તે જમીનને મુસ્લિમ સમાજ લઇ લ્યે અને ૪૦*૮૦ વર્ગ મીટરના જે ભાગનો મામલો સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન છે, જયાં રામલલ્લા બિરાજમાન છે તેને સંયુકતરૂપે હિન્દુ પક્ષકારોને સોંપી દેવામાં આવે.
ત્રીજો પ્રસ્તાવ એ છે કે અયોધ્યાના વિવાદીત સ્થળ જયાં રામલલ્લા બિરાજમાન છે ભગવાન રામનું મંદિર બને અને યુસુફ આરામસીનના સ્થળે મસ્જીદ બને. આ પ્રસ્તાવ પર આધારીત આઠ પૃષ્ઠનો એક પત્ર હાલમાં જ અયોધ્યા સદ્ભાવના સમન્વય મહાસમિતિના મહામંત્રી ડો.અમરનાથ મિશ્રએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કારોબારી સભ્ય મૌલાના સલમાન નદ્દવીને સોંપ્યો હતો.
પત્રમાં તર્ક છે કે મુસ્લિમ સમાજમાં માન્યતા છે કે લોક હિતમાં, જનહિતમાં, રાષ્ટ્ર અને સમાજ હિત તથા ધર્મના હિતમાં મસ્જીદને કોઇ બીજાસ્થળે સ્થાનાન્તરિત કરી શકાય છે. ડો.અમરનાથ મિશ્ર આ વિવાદને હલ કરવા માટે ગયા વર્ષે સક્રિય થયેલા આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરના સમર્થક છે. તેમણે જ ગયા વર્ષે ૧પ થી ૧૭ નવેમ્બરની વચ્ચે શ્રી શ્રી રવિશંકરની લખનૌ અને અયોધ્યાની યાત્રા કરાવી હતી.
બાબરી મસ્જીદ એકશન કમીટીના સંયોજક જીલાનીએ કહ્યુ છે કે, શ્રી શ્રી રવિશંકરના સમર્થકોવાળી અયોધ્યા સદ્દભાવના મહાસમિતિએ અયોધ્યા મામલાને સુલહથી હલ કરવા માટે જે ફોર્મ્યુલા કાઢી છે તે મૌલાના સલમાન નદ્દવી બોર્ડની આજથી શરૂ થતી બેઠકમાં રજુ કરવામાં આવશે અને તેના ઉપર ચર્ચા થશે પરંતુ હું એ કહીશ કે બોર્ડ તો ૧૯૯૦માં જ કહી ચુકયુ છે કે મસ્જીદની જમીન ન તો ગીફટ કરવામાં આવી શકે છે કે ન તો વેચી શકાય તેમ છે કે પછી ન તો સરન્ડર થઇ શકે છે.(૩-૪)