કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ પર ફાઇઝર વેકિસનની અસર ખૂબ ઓછી
આફ્રિકા હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા અભ્યાસ કરાયો
નવી દિલ્હી,તા. ૮ : કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે કે, તે પૂર્વવર્તી ડેલ્ટા વેરિએન્ટ કરતાં કેટલો ખતરનાક છે. આ બધા વચ્ચે ઓમિક્રોન પર વેકિસન અંગે એક અભ્યાસ થયો છે.ઙ્ગ
દક્ષિણ આફ્રિકામાં આવેલા આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ફાઈઝર વેકિસન પર આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફાઈઝર વેકિસનના ૨ ડોઝની ઓમિક્રોન પર આંશિક અસર જ છે.ઙ્ગ
આ અભ્યાસમાં વધુ એક વાત પણ સામે આવી છે કે, જે લોકોએ વેકિસનના બંને ડોઝ લીધા હતા અને પહેલેથી ઈન્ફેકશન હતું તેવા મોટા ભાગના કેસમાં વેરિએન્ટને અસરહીન કરી દેવાયો. સ્ટડીમાં એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે, વેકિસનનો બુસ્ટર ડોઝ વેરિએન્ટ સામે બચાવી શકે છે. આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર એલેકસ સિગલે જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટને અસરહીન કરવા મામલે એક મોટો દ્યટાડો જોવા મળ્યો છે જે પહેલાના કોવિડ સ્ટ્રેનની સરખામણીએ વધારે છે.ઙ્ગ
તેમણે જણાવ્યું કે, લેબમાં ૧૨ એવા લોકોના લોહીની તપાસ થઈ જેમણે ફાઈઝર બાયોએનટેકની વેકિસન લીધી હતી. તેમાં ૬માંથી ૫ લોકો જેમણે વેકિસનનો ડોઝ લીધો હતો અને કોરોનાના પહેલાના વેરિએન્ટનો ભોગ બની ચુકયા હતા તેમણે ઓમિક્રોન વેરિએન્ટને અસરહીન કરી દીધો. સિગલે જણાવ્યું કે, જે પરિણામો આવ્યા છે તે, હું જેવું વિચારી રહ્યો હતો તેના કરતાં સકારાત્મક છે. તમને જેટલા એન્ટીબોડી મળશે, ઓમિક્રોનનો સામનો કરવા માટેની તક એટલી જ વધી જશે.
વધુમાં જણાવ્યું કે, લેબમાં એવા લોકોની તપાસ નથી કરવામાં આવી જેમણે વેકિસનનો બુસ્ટર શોટ લીધો છે. આવા લોકો હાલ દક્ષિણ આફ્રિકામાં ઉપસ્થિત નથી.