બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અને સોનિયા ગાંધીને રસી અપાઈ
રસીકરણ-ટેસ્ટિંગને લઈને ચોંકાવનારો ખુલાસો : આ પ્રકારનું કારનામું કોણે કર્યું છે તેની તપાસ બાદ આકરી કાર્યવાહી કરવાની અરવલ જિલ્લા કલેક્ટરની ખાતરી
પટના, તા.૭ : બિહારમાં કોરોના રસીકરણ તેમજ ટેસ્ટિંગને લઈને એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે. અરવલ જિલ્લામાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી, પ્રિયંકા ચોપરાને કોરોનાની રસી અપાઈ હોવાનુ અને તેમનો કોરોના ટેસ્ટ કરાયો હોવાનુ બહાર આવ્યુ છે.જિલ્લા કલેકટરનુ કહેવુ છે કે,આ પ્રકારનુ કારનામુ કોણે કર્યુ છે તેની તપાસ કર્યા બાદ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે નિતિશ કુમારની સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, દેશમાં સૌથી પછાત બિહારનો સ્વાસ્થ્ય વિભાગ ભ્રષ્ટાચાર, હેરાફેરી, તબીબી સાધોનાની ચોરી તેમજ ખોટા આંકડા રજૂ કરવા માટે કુખ્યાત છે.નીતિશ કુમારની સરકારે તો વેક્સીનનો આંકડો વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી અને પ્રિયંકા ચોપરાને પણ વેક્સીન આપી દીધી છે.