મુખ્ય સમાચાર
News of Monday, 8th October 2018

ગ્‍લોબલ વોર્મિંગથી ભારતને ખતરોઃ જીવલેણ ગરમ પવનો લેશે ભરડો

કલાઈમેટ ચેન્‍જ પર વિશ્વના સૌથી મોટા સમીક્ષા રિપોર્ટમાં ભારત માટે આકરી ચેતવણી : ભારતીય ઉપમહાદ્વીપમાં કોલકતા અને કરાંચી ઉપર ખતરોઃ ૨ ડિગ્રી તાપમાન વધશે તો ભારત-પાક.માં ગરીબી, મોંઘવારી, બેકારી, ખરાબ સ્‍વાસ્‍થ્‍યની સમસ્‍યાઓ ઉભી થશે

નવી દિલ્‍હી, તા. ૮ :. કલાઈમેટ ચેન્‍જ અંગે વિશ્વના સૌથી મોટા સમીક્ષા રીપોર્ટમાં ભારત માટે આકરી ચેતવણી આપવામાં આવી છે. તેમા જણાવાયુ છે કે વિશ્વનું તાપમાન ૨ ડીગ્રી સેલ્‍સીયસ વધશે તો ભારતે ૨૦૧૫ની જેમ જીવલેણ ગરમ પવનોનો સામનો કરવો પડશે. એ વખતે ગરમ પવનોથી ૨૫૦૦ લોકોના મોત થયા હતા. કલાઈમેટ ચેન્‍જ અંગે આઈપીસીસી દ્વારા રીપોર્ટ જારી કરવામાં આવ્‍યો છે.

રીપોર્ટના અનુમાનો પર આ વર્ષે ડીસેમ્‍બરમાં પોલેન્‍ડમાં કલાઈમેટ ચેન્‍જ પર યોજાનારી બેઠકમાં ચર્ચા થશે. અહીં વિવિધ સરકારો કલાઈમેટ ચેન્‍જને રોકવા માટે પેરીસ એગ્રીમેન્‍ટની સમીક્ષા કરશે.

તાપમાનમાં વૃદ્ધિને લઈને ખતરાની ઘંટડી વગાડતા રીપોર્ટમાં જણાવાયુ છે કે, સરેરાશ વૈશ્વિક તાપમાન ૨૦૩૦ સુધી ૧.૫ ડીગ્રીના સ્‍તર સુધી પહોંચી શકે છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે રફતારથી જો તે વધતુ રહેશે તો ગ્‍લોબલ વોર્મિંગ ૨૦૩૦થી ૨૦૫૨ વચ્‍ચે ૧.૫ ડીગ્રી સેલ્‍સીયસ સુધી વધશે.

રીપોર્ટ અનુસાર ભારતીય ઉપમહાદ્વીપમાં કોલકતા અને પાકિસ્‍તાનના કરાંચીમાં ગરમ પવનોનો સૌથી વધુ ખતરો રહેશે. ત્‍યાં વાર્ષિક સ્‍થિતિ ૨૦૧૫ જેવી થશે. ગરમ પવનોથી થનાર મોતમાં વધારો થઈ રહ્યો છે અને તેમા કલાઈમેટ ચેન્‍જની મોટી ભૂમિકા છે. રીપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકો સહમત છે કે ગ્‍લોબલ વોર્મિંગ માનવ સ્‍વાસ્‍થ્‍ય પર અસર ફેંકે છે અને તેને લાખો લોકોની જીંદગી જઈ રહી છે. રીપોર્ટ અનુસાર ગ્‍લોબલ વોર્મિંગને ૧.૫ ડીગ્રી સેલ્‍સીયસ સુધી રોકવા માટે માનવીય કાર્બન ઉત્‍સર્જનમાં ૨૦૧૦ના સ્‍તરથી ૨૦૩૦ સુધી ૪૫ ટકા ઘટાડાની જરૂર છે.

રીપોર્ટ અનુસાર ૧.૫ હેલ્‍થ રીપોર્ટને લઈને ડબલ્‍યુએચઓ અને કલાઈમેટ ટ્રેકરે કહ્યુ છે કે ૨ ડીગ્રી સેલ્‍સીયસ તાપમાન વધવાથી ભારત અને પાકિસ્‍તાન પર સૌથી મોટી ખરાબ અસર થશે. કલાઈમેટ ચેન્‍જને કારણે ખાદ્ય અસુરક્ષાને કારણે ગરીબી વધશે, મોંઘવારી વધશે, આવક ઘટશે, રોજગારી ઘટશે, પલાયન વ્‍યવસ્‍થા વધશે અને ખરાબ સ્‍વાસ્‍થ્‍યની સમસ્‍યા વધશે.

રીપોર્ટ અનુસાર ગ્‍લોબલ વોર્મિંગને કારણે ગરીબી તો વધશે. ગ્‍લોબલ વોર્મિંગને ૨ ડીગ્રી સેલ્‍સીયસને બદલે ૧.૫ ડીગ્રી સુધી રોકવાથી ૨૦૫૦ સુધીમાં કરોડો લોકો કલાઈમેટ ચેન્‍જથી જોડાયેલા ખતરા અને ગરીબીથી બચી જશે.

(10:29 am IST)