રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્મ જગતના 2 દિગ્ગજોની મુલાકાત : અનુપમ ખેરે ફોટો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું
અનુપમ ખેરે પોતાનો રજનીકાંત સાથેનો ફોટો શેર કરતાં લખ્યું - 'મારા મિત્ર રજનીકાંત જેવું ન કોઈ હતું, ન કોઈ છે અને કોઈ હશે!'
નવી દિલ્હી, તા.07 : ફિલ્મી દુનિયામાં તો આપણે ઘણા અભિનેતાની મિત્રતાની મિસાલ સાંભળી હશે. પરંતુ આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે અમે તમને ફિલ્મ જગતની બે દિગ્ગજ હસ્તિઓ સાથે મળાવી રહ્યાં છે. આ બે મહાન શખ્સિયત છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત અને બોલીવુડના મહાન અભિનેતા અનુપમ ખેર. આ બંનેની મિત્રતા અંગે કદાચ તમે પહેલા સાંભળ્યું હોય. પરંતુ અનુપમ ખેરે રજનીકાંત સાથે ફોટો શેર કરી પ્રશંસકોનુ દિલ જીતી લીધુ છે.
બોલિવુડના મોસ્ટ ડિમાન્ડિંગ અભિનેતા અનુપમ ખેરે રાષ્ટ્રપતિ ભવનમાંથી રજનીકાંત સાથેના 2 ફોટો શેર કર્યા છે. તસવીરોમાં રજનીકાંત અને અનુપમ ખેર કેમેરા સામે જોઈને સ્મિતસહ પોઝ આપતા દેખાય છે. તેઓ બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે.
અનુપમ ખેરે તસવીરોના કેપ્શનમાં રજનીકાંતને પોતાના મિત્ર ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે, 'મારા મિત્ર રજનીકાંત જેવું ન કોઈ હતું, ન કોઈ છે અને કોઈ હશે! આજે મળીને ખૂબ સારૂં લાગ્યું. જય હો! #AazadiKaAmritMahotsav'
અનુપમ ખેર અને રજનીકાંતની આ તસવીર રાષ્ટ્રપતિ ભવન ખાતેની છે. તેઓ બંને આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા અને તે ક્ષણોને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. અનુપમ ખેરની આ પોસ્ટ પર અન્ય કલાકારોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે.