દેશનાં પ૯% લોકો ચીન સાથે યુધ્ધના પક્ષમાં
સીમા વિવાદ પર ભારતે ચીન સાથે લડી લેવું જોઇએઃ દગાબાજથી નારાજ છે લોકો : ૭ર% લોકો માને છે કે ભારત ચીનને પાડી દેશેઃ ૮૪% લોકોનું માનવું છે કે ચીન ઉપર કદી ભરોસો ન કરાયઃ સર્વે
નવી દિલ્હી તા. ૮ :. ૧પ જુને લડાખની ગલવાન ખીણમાં ચીનની દગાખોરીને કારણે સમગ્ર દેશ ઉકળી ઉઠયો હતો. ર૦ ભારતીય સૈનિકોની શહાદતે ચીનની વિરૂધ્ધ લોકોમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. ચીની વિશ્વાસઘાત પર 'આજતક' દ્વારા 'દેશનો મિજાજ' જાણવાનો પ્રયાસ થયો. મુડ ઓફ નેશનના નામથી થયેલા આ સર્વેમાં પ૯ ટકા લોકો માને છે કે સીમા વિવાદ પર ભારતે ચીન સાથે યુધ્ધ કરવું જોઇએ.
'આજતક' એ લોકોને પુછયું હતું કે શું સીમા વિવાદ પર ભારતે ચીન સાથે યુધ્ધ કરવું જોઇએ ? તો જવાબમાં પ૯ ટકા લોકોએ હામાં જવાબ આપ્યો હતો જયારે ૩૪ ટકા યુધ્ધના પક્ષમાં નહોતા ૭ ટકા લોકો તટસ્થ રહ્યા હતાં.
જયારે 'આજતક' લોકોને પુછયું કે શું ભારત ચીનથી જીતી શકે છે તો બમ્પર બહુમતી સાથે ૭ર ટકાએ કહયું હતું કે હા ભારત યુધ્ધમાં ચીનને હરાવી દેશે. માત્ર ૯ ટકાનું માનવું હતું કે આપણે ચીનને હરાવી ન શકીએ ૧૦ ટકા લોકો માને છે કે આ યુધ્ધ ગતિરોધ દુર કરી દેશે. ૧૦ ટકા લોકો તટસ્થ રહયા હતાં. સર્વેમાં પુછાયું કે શું ભારતે ચીન ઉપર ભરોસો કરવો જોઇએ. તો માત્ર ૯ ટકાએ હા પાડી હતી. જયારે ૮૪ ટકાએ ભરોસાની ના પાડી હતી.
'આજતકે' આ સર્વે ૧ર૦ર૧ લોકો સાથે વાત કરી હાથ ધર્યો હતો. ૧૯ રાજયોની ૯૭ લોકસભા અને ૧૯૪ વિધાનસભા ક્ષેત્રને આવરી લેવાયા હતાં.