ફડનવીસની સામે પણ કાવતરું ઘડાયું : બીજા બે પત્ર જપ્ત થયા
મળી આવેલા પત્રમાં એન્કાઉન્ટરોનો ઉલ્લેખ : બંને પત્ર ૫ પાનામાં છે અને ૨૦૧૮માં લખાયા હોવાનો ખુલાસો થયો : આદિવાસીઓ ઉપર અત્યાચારનો આક્ષેપ
નવીદિલ્હી, તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવા માટે રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગનો ખુલાસો થયા બાદ માઓવાદીઓના બીજા બે પત્રો પણ મળી આવ્યા છે. આ પત્રોથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને તેમના પરિવારની સામે કાવતરા રચવા અને હત્યાની ધમકી આપવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રાલયના સુત્રોનું કહેવું છે કે, આ પત્રમાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં અનેક માઓવાદી માર્યા ગયા હતા. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ બંને પત્રો પાંચ પાનાના છે અને તેમને મે ૨૦૧૮માં લખવામાં આવ્યા હતા. પીપલ્સ લિબ્રેેશન ગુરિલ્લા આર્મીએ આ પત્રમાં લખ્યું છે કે, આદિવાસીઓ ઉપર ભારતની સરકાર અત્યાચાર કરી રહી છે. ગઢચિરોલી જેવા એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, આના કારણે સંગઠનને ભારે નુકસાન થયું છે. આ પહેલા વડાપ્રધાનની હત્યાના કાવતરાનો પણ પર્દાફાશ થયો હતો.