અધ્યાત્મ માર્ગમાં ફરિયાદી વૃત્તિ બાધક છે - સમણ શ્રુતપ્રજ્ઞજી
અમેરિકાના મેમ્ફિસ ( ટેનેસી ) માં 'જીવન અને અધ્યાત્મ' પર શિબિર
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજીએ તા. 1 થી 4 જૂન સુધી અમેરિકાના મેમફિસ શહેરમાં બે દિવસની શિબિર યોજી હતી. શિબિરનો વિષય હતો - જિંદગી અને બંદગી. શિબિરમાં સમણજીએ કહ્યું હતું કે, જિંદગી અને બંદગી બંને અલગ અલગ ન હોવા જોઈએ. જિંદગી બંદગીથી પ્રભાવિત હોવી જોઈએ અને બંદગી જિંદગી સાથે સંયુક્ત હોવી જોઈએ. આજે થયું ઉલટું છે. ધાર્મિક લોકો ધર્મ સ્થાનમાં પવિત્ર બની જાય છે અને કર્મ ક્ષેત્રમાં માનવતા વિરુદ્ધના કાર્યો કરે છે. ભગવાનની પૂજા કરનાર જીવનમાં પવિત્ર હોવો જ જોઈએ. ધ્યાન કરનાર વ્યવહારમાં શાંત અને સંતુલિત રહેવો જોઈએ. ભક્તિ કરનાર દરેક પ્રત્યે પ્રેમાળ હોવો જોઈએ. સ્વાધ્યાય અને જ્ઞાનની ઉપાસના કરનારનું જીવન સૌ માટે પ્રેરણાનું કારણ હોવું જોઈએ. આવું બહુ ઓછી જગ્યાએ દેખાય છે. કારણકે આપણે માની લીધું કે ધર્મ સ્થાનમાં સારા વિચારો અને સારું શ્રવણ કરવાનું અને કર્મ સ્થાનમાં મન ફાવે તેમ વર્તવાનું.
સમણશ્રીએ યૌગિક દ્રષ્ટિએ મન શું છે? પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે સંતુલન કેમ રાખી શકાય? જીવનમાં કંઈ વસ્તુને પ્રાથમિકતા આપવી જોઈએ? એ વિષયો પર વિસ્તારથી પ્રવચનો આપ્યા હતા. કહ્યું હતું કે આધ્યાત્મિક માણસનું ચિત્ત શિકાયત મુક્ત હોવું જોઈએ. આધ્યાત્મિક માણસ સુખની ક્ષણોને યાદ રાખે છે, તેનામાં ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષ રહેતો નથી. સમણશ્રીએ સૌને કાયોત્સર્ગ અને ધ્યાન- યોગના પ્રયોગો પણ કરાવ્યા હતા. ચંચલા અને વિનય મહેતાએ સમસ્ત શિબિરની વ્યવસ્થા સંભાળી હતી. સાધકોના અનેક પ્રશ્નોના સમણશ્રીએ તર્કસંગત જવાબો આપ્યા હતા. આ પહેલા તેમને વિચિતા - કેનસાસ, ડેનવર અને દુમસ - ટેક્ષાસમાં પણ પ્રવચનો આપ્યા હતા. અહીંથી તેઓ લોસ એંજલસ, સાંડીયાગો, અને સાન ફ્રાન્સિસ્કો - કેલિફોર્નિયામાં પ્રવચનો આપશે અને સાધકોને સેવા - સ્વાધ્યાય અને સાધનાની પ્રેરણા આપશે.