હનુમાનજી મહારાજે કરેલા પરાક્રમો, સમર્પણભાવ,ભક્તિની શક્તિ, જ્ઞાન-વિજ્ઞાનને પારખવાની બુદ્ધિપ્રતિભા વગેરે વર્તમાન સમયે પણ યુવાનોને પ્રેરણા દેનારા છે : સ્વામી માધવપ્રિયદાસજી અમેરીકાના સવાન્ના ખાતે એસજીવીપી શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં બિરાજમાન ૧૮ દેવોનો પાટોત્સવ ઉજવાયો
અમેરિકા તા. ૮ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્(SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની મંગલ પ્રેરણાથી SGVP ગુરૂકુલ - સવાનાહ, અમેરીકા ખાતે શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં બિરાજમાન દેવોનો પાટોત્સવ ઉજવાયો.
આ મંદિરમાં સનાતન ધર્મની તમામ ધારાઓનો સમાવેશ કરતા ૧૩ સિંહાસનમાં ૧૮ મૂર્તિઓનો પ્રતિષ્ઠાવિધી બે વર્ષ પહેલા કરવામાં આવેલ છે. જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી સીતારામજી, શ્રી શ્રીનાથજી, શ્રી વેંકટેશ ભગવાન, શ્રી શિવપાર્વતી, શ્રી અંબા મા તથા શ્રી ઉમિયા મા, શ્રી સૂર્યનારાયણ ભગવાન, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, શ્રી ભોજલરામબાપા તથા શ્રી જલારામ બાપા બિરાજે છે.
આ મંદિરમાં હિંદુ ધર્મના તમામ ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉત્સવોનો લાભ લેવા દૂર દૂરથી ભક્તજનો પ્રેમથી પધારે છે અને ઉત્સવ સમૈયાઓનો લાભ લે છે.
હનુમાન જયંતિના પવિત્ર દિને મંદિરમાં બિરાજમાન દેવોનો દ્વિતીય પાટોત્સવ હોવાથી વર્તમાન પરિસ્થિતીને આધારે નાનકડા પૂજનોત્સવ સ્વરુપે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના દિવસે મંદિરમાં યોગદાન આપનારા તમામજી યજમાનોએ ઉપસ્થિત રહીને પાટોત્સવના પૂર્વ પુજનનો લાભ લીધો હતો. જેમાં મંદિરમાં બિરાજીત ઉત્સવ મૂર્તિનું ષોડશોપચાર પૂજન વિધિવત્કરવામાં આવ્યું હતું. આ અવસરે મધ્ય સિંહાસનમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણનો સવિશેષ પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. જેનો વિધી શ્રી અજય મહારાજે કરાવ્યો હતો.
આ પ્રસંગે મંદિરમાં ચાલતા બાલવિકાસ કેન્દ્રના બાળકોએ વૈદિક મંત્રોનું ગાન કર્યું હતું. બાલ વિકાસ કેન્દ્રમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહિત ઈનામો અર્પી સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
હનુમાન જયંતિના અવસરે જીય્ફઁના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ મંગલ કથાઓનું શ્રવણ કરાવ્યું હતું. જેમાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ત્રેતાયુગમાં પ્રગટેલા હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. તેમણે કરેલા પરાક્રમો વર્તમાન સમયે પણ યુવાનોને પ્રેરણા દેનારા છે. હનુમાનજી મહારાજનો સમર્પણભાવ, તેમનામાં રહેલી ભક્તિની શક્તિ, જ્ઞાન-વિજ્ઞાનને પારખવાની અપ્રતિમ બુદ્ધિપ્રતિભા વગેરે વર્તમાન સમયે પણ પ્રેરણાદાયક છે.
પૂજ્ય સ્વામીજીએ વર્તમાન સમયે પ્રવર્તી રહેલા કોરોનાના સમયે સાવધાની રાખવાની આજ્ઞા પાઠવતા સૌને સાવધાન કર્યા હતા.
આ પ્રસંગે હનુમાન ચાલીસાના ગાન સાથે ઠાકોરજી તથા શ્રીહનુમાનજીની વિશેષ આરતી કરીને મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. મહોત્સવને અંતે મહિલા મંડળના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાપ્રસાદ બધા જ ભક્તજનોએ સ્વીકાર્યો હતો.
પાટોત્સવની પૂર્વતૈયારીમાં શાસ્ત્રી ભક્તિવેદાંત દાસજી, ગોપાલચરણદાસજી સ્વામી તથા શ્રી નવલભાઈ વ્યાસે ખૂબ જ સારી મહેનત કરી હતી.