કોરોના કેમ ઝડપથી ફેલાયો?
નવી દિલ્હી,તા. ૮: આરોગ્ય ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો માને છે કે કોવિડ-૧૯ના ભિન્ન પ્રકાર, વાઇરસની ઝડપથી અસર થાય (ચેપ લાગે) એવા લોકો અને કોરોનાને લગતી અમુક બેદરકારીથી હાલમાં રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે. આમ છતાં, કોરોના વાઇરસના ભિન્ન પ્રકારને લીધે રોગચાળો હાલમાં ઝડપથી ફેલાતો હોવાના અહેવાલને સરકારે હજી સુધી સમર્થન નથી આપ્યું. કોવિડ-૧૯ના ભિન્ન પ્રકાર વધુ ચેપી છે અને તે અગાઉના સ્વરૂપની સરખામણીમાં ઝડપથી ફેલાય છે.
ડો. ગિરિધર આર. બાબુએ દાવો કર્યો હતો કે કોરોનાના કેટલાક ભિન્ન પ્રકારને ઇમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારશકિત) ઓળખી નથી શકતી. એન્ટિબોડીઝ નવા પ્રકારના વાઇરસને ઓળખીને તેનો પ્રતિકાર કરી નહિ શકતી હોવાથી વધુ લોકો તેનાથી અસરગ્રસ્ત થઇ રહ્યા છે. બ્રાઝિલથી આવેલા કોવિડ-૧૯ના ભિન્ન પ્રકારના વાઇરસને અને દક્ષિણ આફ્રિકાથી આવેલા વાઇરસના કેટલાક સ્વરૂપને એન્ટિબોડીઝ ઓળખી નથી શકતી.