મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં બેકબેન્ચર બન્યા છેઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું મોટું નિવેદન : ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અલગ માર્ગ પસંદ ના કર્યો હોત તો મુખ્યમંત્રી હોત, પાર્ટીની યુથ વિંગ સાથેની ચર્ચામાં રાહુલનો દાવો

નવી દિલ્હી, તા. : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ મોટું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને કહ્યું કે, જો તેમણે અલગ માર્ગ પસંદ ના કર્યો હોત તો તેઓ મુખ્યમંત્રી ચોક્કસ હોત. રાહુલ ગાંધીએ કહ્યું કે, સિંધિયા કોંગ્રેસમાં રહીને મુખ્યમંત્રી બની શકતા હતા પરંતુ ભાજપમાં ગયા.

સુત્રો પ્રમાણે કોંગ્રેસ સંગઠનના મહત્વ વિશે પાર્ટીની યુથ વિંગ સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સિંધિયા મુખ્યમંત્રી બની ગયા હોત જો તેઓ કોંગ્રેસની સાથે રહ્યાં હોત પરંતુ સિંધિયા ભાજપમાં બેકબેંચર બની ગયા છે.

તેમણે કહ્યું, સિંધિયાની પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કામ કરીને સંગઠનને મજબૂત કરવાનો વિકલ્પ હતો. મેં તેમને કહેલું કે એક દિવસ તમે મુખ્યમંત્રી હશો પરંતુ તેમણે પોતાનો માર્ગ પસંદ કર્યો.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, તમે લખી રાખો તેઓ ભાજપમાં ક્યારેય મુખ્યમંત્રી નહી બની શકે. તેમણે અહીં પરત આવવું પડશે. તેમણે યુવા પાર્ટીના કાર્યકર્તાઓને આરએસએસની વિચારધારા સાથે લડવા અને કોઈનાથી પણ નહી ડરવાની સલાહ આપી.

(8:15 pm IST)