મધ્યપ્રદેશમાં VVIP Tree: તેની જાળવણી માટે દર વર્ષે થાય છે 12થી 15 લાખનો ખર્ચ
ઝાડનું જોડાણ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત : શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે જાતે રોપ્યું હતું.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સાંચી સ્તૂપ નજીકની એક ટેકરી પર એક ખાસ વૃક્ષ અસ્તિત્વમાં છે, જે પોતાનામાં અનોખું છે. જો તેનું (Bodhi Tree) પત્તું પણ તૂટી જાય છે તો વહીવટી તંત્ર દોડતું થઈ જાય છે. કોઈ માનવની જેમ આ ઝાડની પણ તબીબી તપાસ કરવામાં આવે છે. 15 ફૂટ ઊંચી જાળીઓથી ઘેરાયેલા અને નજીકમાં ઉભેલા પોલીસ કર્મચારીઓને જોતા દરેકના મનમાં ચોક્કસપણે સવાલ ઉભો થાય છે કે આ વૃક્ષ આટલું વિશેષ કેમ છે? આ વૃક્ષની સુરક્ષા જોઈને લોકોએ તેને VVIP Tree કહેવાનું શરૂ કરી દીધું છે.
હવે તમે વિચારતા જ હશો કે આ પીપળના ઝાડમાં એવું શું છે કે તેના માટે આવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે? ખરેખર, આ કોઈ સામાન્ય પીપળો નથી, પરંતુ બોધી વૃક્ષ ના કુટુંબનો એક ભાગ છે, જેના હેઠળ ભગવાન બુદ્ધે જ્ઞાન મેળવ્યું હતું. આ બોધિવૃક્ષને 21 સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે જાતે રોપ્યું હતું. આ કારણ છે કે આ વૃક્ષ દેશના સૌથી વધુ વીઆઈપી વૃક્ષોમાંનું એક બની ગયું છે
જેનું સંચાલન બાગાયત વિભાગ, મહેસૂલ, પોલીસ અને સાંચી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા ભેગા મળીને કરવામાં આવે છે. આ વૃક્ષને બચાવવા દર વર્ષે 12થી 15 લાખનો ખર્ચ થાય છે. તેની સુરક્ષા માટે ગાર્ડને દિવસના 24 કલાક તૈનાત કરવામાં આવે છે. સ્થાનિક વહીવટનું ટેન્કર ખાસ વૃક્ષને પાણી આપવા આવે છે. ઝાડ કોઈ પણ પ્રકારના રોગનો શિકાર ન થવો જોઈએ. આ માટે કૃષિ અધિકારીઓ પણ અહીં સમયે સમયે મુલાકાત લેતા રહે છે.