રેલવેનું ખાનગીકરણ નહીં થાય: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપી
ન્યુદિલ્હી :રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે રેલવેના વ્યૂહાત્મક મહત્વ અને તેની જટિલતાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે કે 'રેલવેનું ખાનગીકરણ' નહીં થાય.
લોકસભામાં શ્રીકાંત એકનાથ શિંદે અને કેટલાક અન્ય સભ્યોના પૂરક પ્રશ્નોના જવાબ આપતા રેલવે મંત્રીએ કહ્યું, “રેલવેની પ્રકૃતિ વ્યૂહાત્મક પ્રકૃતિની છે અને તેની પોતાની જટિલતાઓ છે. રેલ્વેની વ્યૂહાત્મક પ્રકૃતિને જોતા, સરકારે સ્પષ્ટ નિર્ણય લીધો છે કે રેલ્વેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે તેથી રેલ્વે સ્ટેશનોનો વિકાસ મૂળભૂત રીતે સરકારના ભંડોળમાંથી કરવામાં આવે છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેમાં રેલ્વે સ્ટેશનો અને સુવિધાઓનું આધુનિકીકરણ અને અપગ્રેડેશન એ ટ્રાફિકની માત્રા, ભંડોળની ઉપલબ્ધતા અને કામોની પરસ્પર પ્રાથમિકતાના આધારે ચાલુ અને સતત પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે નવી યોજના 'અમૃત ભારત સ્ટેશન યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અમૃત ભારત સ્ટેશનના વિકાસ માટે સરહદી વિસ્તારો સહિત દેશમાં કુલ 1275 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.