દિલ્હીમાં ૨૦૧૫માં AAPને ૬૭ બેઠકો મળી હતી : રિપોર્ટ
અરવિંદ કેજરીવાલનો જાદુ અકબંધ રહે તેવા સ્પષ્ટ સંકેતો : વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસ અને ભાજપનો સફાયો થયો હતો
નવી દિલ્હી, તા. ૮ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ૨૦૧૫ની સરખામણીમાં ઓછું મતદાન થતાં તર્કવિતર્કોનો દોર શરૂ થયો છે. દિલ્હી ચૂંટણીમાં તમામ લોકો માની રહ્યા હતા કે, વધારે પ્રમાણમાં મતદાન થશે પરંતુ મતદાનની ટકાવારી ઓછી રહી હતી. ૨૦૧૫ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને જીત મેળવી હતી. આ પાર્ટીએ ૬૭ સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો હતો. કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર ત્રણ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ સાતેય સીટો જીતી લીધી હતી.
સતત બ લોકસભા ચૂંટણીમાં લોકોએ ભાજપને તમામ સાતેય સીટો આપી હતી પરંતુ વિધાનસભામાં મતદારો એએપીની તરફેણમાં રહ્યા છે જે સાબિતી આપે છે કે, દિલ્હીમાં એએપીનું શાસન લોકો ઇચ્છે છે જ્યારે વડાપ્રધાન તરીકે દિલ્હીના લોકો નરેન્દ્ર મોદીને જોવા ઇચ્છુક છે. આ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર દેશભરની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે અહીંની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પણ સૌથી પ્રતિષ્ઠિત બની ગઈ છે. આજ કારણસર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હતી. અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ દ્વારા અવિરત ચૂંટણી પ્રચાર કરીને માહોલને ભાજપ તરફી કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે, એએપી તરફથી અરવિંદ કેજરીવાલે પણ સ્થાનિક મુદ્દાઓના આધાર પર મતદારોમાં પોતાની છાપ વિકાસ લીડર તરીકે જાળવી રાખી છે.
છેલ્લી ચૂંટણી પરિણામ
વિધાનસભાની કુલ સીટો.................................. ૭૦
પરિણામ જાહેર................................................ ૭૦
એએપીને મળેલી સીટો..................................... ૬૭
ભાજપને મળેલી સીટો...................................... ૦૩
કોંગ્રેસને મળેલી સીટો....................................... ૦૦
એએપીને મતહિસ્સેદારી............................. ૫૪.૦૩
ભાજપને મતહિસ્સેદારી................................. ૩૨.૩
કોંગ્રેસને મતહિસ્સેદારી.................................... ૯.૭